- મર્યાદિત દોડતી પેસેન્જર ટ્રેનો વચ્ચે અમદાવાદ-વડોદરા મેમુ 20 મિનિટ મોડી પડતા મુસાફરોના શિડયૂલ ખોરવાયા
- રેલવેતંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે ફાસ્ટ-સુપરફાસ્ટ, સમર-ફેસ્ટીવલ સ્પેશીયલ ટ્રેનો કાર્યરત કરવામા આવી
- દૈનિક અવરજવર કરતા મુસાફરોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો
પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાના વેકેશનમા મુસાફરોના ધસારા, ભીડ અને માંગને પહોંચી વળવા માટે કેટલીક સમર સ્પેશીયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં આગામી 28 એપ્રિલથી શરૂ થનારી અમદાવાદ-હુબલી-અમદાવાદ ટ્રેનને આણંદમા સ્ટોપેજ ફાળવાતા કર્ણાટક રાજયને જોડતી ટ્રેનને શહેરમા વિરામ અપાતા મુસાફરોને ઘરઆંગણેથી ટ્રેન સુવિદ્યા મળી રહેશે. ટ્રેન નં. 07312 આગામી 29 એપ્રિલે 21.25 કલાકે અમદાવાદથી પ્રસ્થાન કરશે. જયારે ટ્રેન નં. 07311. આગામી 28મી એપ્રિલે 19.30 કલાકે હુબલીથી પ્રસ્થાન કરશે. એસી ટુ, એસી થ્રી ટાયર સ્લીપર કલાસ અને જનરલ દ્રિતીય શ્રોણીના કોચ ધરાવતી ટ્રેનને આવનજાવનના બન્ને સમયે આણંદમાં વિરામ અપાયો છે. ત્યારે એક તરફ રેલવેતંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે ફાસ્ટ-સુપરફાસ્ટ, સમર-ફેસ્ટીવલ સ્પેશીયલ ટ્રેનો કાર્યરત કરવામા આવી રહી છે. જોકે સમયાંતરે લેઇટ પડતી ટ્રેનોને લઇને મુસાફરોને દુવિદ્યા વેઠવાનો વારો આવે છે. હાલમા ચરોતરમા પેસેન્જર ટ્રેનો મર્યાદિત સંખ્યામા દોડી રહી છે તેવા સંજોગોમા મોટાભાગના ગ્રામ્ય-શહેરી મુસાફરોનો પ્રવાહ મેમુ ટ્રેનો તરફ વળ્યો છે. ત્યારે સવારે 10.00 કલાકે આણંદ સ્ટેશન ઉપર પહોંચતી અમદાવાદ-વડોદરા મેમુ 24 એપ્રિલે-બુધવારે 20 મિનીટ કરતા વધુ સમય સુધી વિલંબિત થતાં ચરોતરના આણંદ, નડિયાદ, મહેદાવાદ, બોરીયાવી સહિતના સ્ટેશનો ઉપર અભ્યાસ, નોકરી, ધંધા-વ્યવસાય માટે દૈનિક અવરજવર કરતા મુસાફરોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.


