- મલ્લિકાર્જુન ખડગે રાજકોટ અને અમદાવાદમાં કરશે પ્રચાર
- રાજકોટમાં આવતીકાલે જાહેરસભાને કરશે સંબોધન
- પરેશ ધાનાણી માટે મલ્લિકાર્જુન કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાતમાં લોકસભાની ચુંટણી માટે આગામી તા.7 મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસ સહિતના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ઉતરી પડયા છે. અમિત શાહ, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ સભાઓ સંબોધ્યા બાદ આગામી તા.1 મેથી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જાહેરસભાઓ સંબોધી રહ્યા છે,ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ અંતિમ રાઉન્ડમાં પ્રચાર માટે ગુજરાત આવશે.
આવતીકાલે આવશે રાજકોટ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આવતીકાલે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે અને સવારે 11 વાગ્યે ઢેબર રોડ ખાતે જાહેરસભા સંબોધનાર છે. ખડગે તા.1મેથી ગુજરાતમાં મુકામ કરનાર છે અને ઉતર- દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર એમ ચારેય ઝોનમાં સભા સંબોધશે.રાજકોટમાં મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે અને રાજકોટને જાહેરસભા ફાળવવામાં આવી છે. તા.3 મેના રોજ સવારે 11 વાગ્યે ઢેબર ચોક ખાતે જાહેર સભાને સંબોધન કરનાર છે.કોંગ્રેસ અધ્યક્ષની જાહેરસભા માટે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
કોણ છે ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારકો
કોંગ્રેસે પોતાના સ્ટાર ઇલેક્શન કેમ્પેઇનર અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી,આ લિસ્ટમાં કોંગ્રેસી ગુજરાતી નેતાઓને પણ સ્થાન આપ્યુ છે. ગુજરાત લોકસભા બેઠકો પર પ્રચાર કરવા માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે. આ યાદી પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી સ્ટાર પ્રચારક છે. આ ઉપરાંત આ લિસ્ટમાં રાહુલ ગાંધી, મુકુલ વાસનિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક બન્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, સચિન પાયલટ સામેલ છે. કોંગ્રેસના ગુજરાતી નેતાઓમાં મુમતાઝ પટેલ, રઘુ દેસાઈ, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, ભરતસિંહ સોલંકી, કદીર પિરઝાદા, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, લલિત કગથરા, જિજ્ઞેશ મેવાણી અને ગ્યાસુદ્દીન શેખને કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.
દિગ્ગજોના ગુજરાતમાં ધામ
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજ્યમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. રાજ્યની તમામ 25 બેઠકો પર એક સાથે મતદાન થશે. સુરતમાં બીજીપી પહેલા જ જીતી ચૂકી છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસો હોવાથી કેન્દ્રમાંથી રાજકીય પક્ષોના દિગ્ગજો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે.


