- સુરતમાં આતંકી અશરફ નાગોરી ગેંગ સામે કાર્યવાહી
- માથાભારે અશરફ નાગોરી ગેંગ પર લાગી છે ગુજસીટોક
- આરોપી અક્રમ બકાલી હાલ દુબઇમાં હવાલાકાંડ કરી રહ્યો હોવાની માહિતી
સુરતમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધવામા આવી છે. સુરત શહેરના કુખ્યાત અશરફ નાગોરી અને તેની ગેંગના 4 સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે મોહમ્મદ ઈસ્માઈલ, વસીમ કુરૈશી અને અબ્દુલ સમદ નામના ત્રણ સાગરિતોને ઝડપી પાડવામા આવ્યા છે.સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે,અશરફ નાગોરી દુબઇમાં ઇન્ડિયન એમ્બેસીમાં આંટાફેરા મારી રહ્યો છે,તો આરોપી અક્રમ બકાલી પર રૂ.15 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.અશરફ નાગોરી તેના માતા-પિતાને દુબઇમાં બોલાવવાની ફિરાકમાં છે.
કોણ છે અશરફ નાગોરી
ખુદ અશરફ સામે છેલ્લા 10 વર્ષમાં 12 ગુના નોંધાયા છે. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની હત્યામાં અશરફ નાગોરીનું નામ ઉછળ્યું હતું. અશરફ અને તેની ગેંગ સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાક-ધમકી અને હથિયાર રાખવા સહિતના 23 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. અગાઉ સુરત પોલીસ આસિફ ટામેટા ગેંગ અને લાલૂ ઝાલિમ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ચૂકી છે. ગુજરાત રાજ્યમાં 2019થી ગુજસીટોકનો નવો કાયદો અમલી બન્યો છે . આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમની પ્રવૃત્તિને ડામી શકાય તે હેતુસર બનાવવામાં આવેલા આ કાયદાથી ગેંગ ઓપરેટ કરતાં તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વર્ષ 2003માં અમદાવાદમાં જેહાદી કાવતરામાં પણ 7 વર્ષ જેલ ભોગવી હતી
રામપુરા અને સૈયદપુરા વિસ્તારમાં આતંક મચાવનાર અશરફ નાગોરી વિરૂધ્ધ શહેર પોલીસમાં બે ડઝનથી વધુ ગુના નોંધાયેલા છે. જેમાં વર્ષ 2003 માં અમદાવાદમાં જેહાદી કાવતરામાં અશરફ સહિત 54 વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને 7 વર્ષ જેલમાં રહ્યો હતો.
અશરફ નાગોરી ગેંગનો ગુનાહીત ઈતિહાસ
1- હરેન પંડયા હત્યા કેસમાં ઝડપાયેલો અશરફ નાગોરી વર્ષ 2013માં પ્રવિણ તોગડીયાની હત્યા માટે મધ્ય પ્રદેશથી લાવેલા હથિયારો સાથે ઝડપાયો હતો.
2-ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાની હત્યા માટે હથિયાર પુરા પાડનાર અશરફ નાગોરી વર્ષ 2013માં વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ પ્રવિણ તોગડીયાની હત્યા માટે મધ્યપ્રદેશથી લાવેલા 11 પિસ્તોલ અને 62 કારતુઝ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો.
3-વર્ષ 2002માં સુરત ભાજપના કોર્પોરેટર અને વકીલ હસમુખ લાલવાલા ઉપર પણ ફાયરિંગની ઘટનામાં તે ઝડપાયો હતો.
4-વર્ષ 2003માં અમદાવાદ પોલીસે પોટા હેઠળ અને વર્ષ 2013 અને 2015 માં સુરત પોલીસે પાસા હેઠળ તેની ધરપકડ કરી હતી.
5-જ્યારે નવેમ્બર 2020માં જ તેને તડીપાર કરાયો હતો.


