ભાજપે કુંડારીયાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરતા અન્ય ચાર ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા
ઇફકોની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ ઉમેદવારોએ પાર્ટીની ઉપરવટ જઇને ફોર્મ ભર્યા હતા તેવો જ ઘાટ ફરી નાફેડની ચૂંટણીમાં સર્જાયો હતો. પરંતુ આ વખતે ભાજપ ઘીના ઠામમાં ઘી પાડવામાં સફળ થયું છે અને અન્ય ચાર ઉમેદવારોને મનાવી લેતા મોહનભાઇ કુંડારીયા બીનહરીફ ચૂંટાઇ આવ્યા છે. અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જયારે અન્ય એક બેઠક પહેલેથી બીનહરીફ થઇ ગઇ હતી.
નાફેડની ડિરેકટરની ચૂંટણીમાં ગુજરાતની બે બેઠક પરથી સાત ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં રાજકોટ બેઠક પરથી મોહનભાઇ કુંડારીયા અને જયેશ રાદડીયા જુથના ગણાતા મોરબીના મગનભાઇ વડાવીયા દ્વારા ચૂંટણીમાં ફોર્મ ભરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ વિરૂધ્ધ ભાજપનો જ જંગ થશે તેવા અણસાર વર્તાઇ રહ્યા હતા. પરંતુ છેલ્લી ઘડીએ ભાજપ આંતરીક જુથવાદને ખાળવામાં સફળ થયું હતું.
આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોય જંગ ફાઇનલ ગણવામાં આવતી હતી. પરંતુ ચાર ઉમેદવારો માની જતાં ચારેય ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધુ હતું અને આંતરીક કલશનો અંત આવ્યો હતો. ગાંધીનગરથી જેઠાભાઇ ભરવાડે ફોર્મ ભર્યુ હતું. જે બેઠક બીન હરીફ જાહેર થઇ હતી અને રાજકોટની બેઠક પણ બીનહરીફ જાહેર થઇ ચુકી છે.
દેશભરમાંથી 21 બેઠક પર 47 જેટલા ઉમેદવારો દ્વારા ફૉર્મ ભરવામાં આવ્યા છે. આજે ફૉર્મ પરત ખેચવાનો અંતિમ દિવસ છે અને સાંજે આ ચિત્ર એકદમ સ્પસ્ટ થઈ જસે આ ચુંટણીમાં નાફેડના આખા દેશમાં 556 મતદારો છે અને ગુજરાતમાં 210 જેટલા મતદારો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના મતદારોનો સમાવેશ થાય છે. તેને જોતા પણ અન્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધાની કાર્યકરોમાં ચર્ચા થઇ રહી છે.
ગુજરાતમાં ભાજપ સામે પોતાના કાર્યકરો રણશીંગુ ફૂંકવાના મૂડમાં હોવાના અસંખ્ય બનાવો સામે આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં જ ત્રણ દિગ્ગજ નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા હોવાની ફરિયાદ હાઇકમાન્ડ સુધી કરવામાં આવી છે તેમજ તાજેતરમાં જ અમરેલીના કદાવર નેતાએ ઇફકોની ચૂંટણીમાં બીનહરીફ થયા બાદ શકિત પ્રદર્શન પણ કર્યુ હતું. ભાજપ માટે ગુજરાત ગઢ ગણવામાં આવે છે અને તેમાં આ પ્રકારની અશિસ્તતા અન્ય રાજયોને પણ પ્રેરણારૂપ બને તેવો ઘાટ સર્જાયો હોય તેને ખાળવા માટે પણ નાફેડની ચૂંટણી બીનહરીફ થવું એક મેસેજ સમાજ માનવામાં આવે છે.
ભાજપમાં મેન્ડેટની પ્રથા તૂટી
ઇફકોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ આપવા છતાં પણ જયેશ રાદડીયા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું અને ડિરેકટર પદે ચૂંટાઇને આવ્યા હતા ત્યારે તેની ઉપરથી શિખામણ લઇને ભાજપ દ્વારા નાફેડ ડિરેકટરની ચૂંટણીમાં મેન્ડેટ આપવાથી પીછેહટ કરી છે. પરંતુ સત્તાવાર રીતે મોહનભાઇની જાહેરાત કરી હતી. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની પ્રથા પ્રથમવાર તૂટી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.


