- મોટેરા, ચાંદખેડા, બોડકદેવ, થલતેજ, શીલજ, મકરબા, વસ્ત્રાલ, નિકોલ, વટવા, નારોલના પ્લોટ વેચાશે
- પ્લોટ વેચાણથી આપવા અંગે આજે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
- AMC પ્લોટ માટે ઉંચી ઓફર કરનારને કાયમી વેચાણથી પ્લોટ આપી દેવામાં આવશે
AMC દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોનાં વિકાસ માટે અમલમાં મુકાતી ટાઉન પ્લાનીંગ સ્કીમમાં 40 ટકા કપાતમાં મળતાં રિઝર્વ પ્લોટ પૈકી સેલ ફોર રેસિડન્ટ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ 99 વર્ષનાં ભાડાપટ્ટેથી આપવાને બદલે વેચાણથી આપવામાં આવશે. આ હેતુસર વર્ષો જૂના નિયમમાં સુધારો કરવા માટે આવતીકાલે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થનારી દરખાસ્ત મંજૂર કરીને હવેથી 99 વર્ષના લીઝથી પ્લોટ આપવાને બદલે વેચાણથી નિકાલ કરવા અને આપવા માટેનો નીતિવિષયક નિર્ણય લેવામાં આવશે. આમ, આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર થયા પછી AMC પ્લોટ માટે ઉંચી ઓફર કરનારને કાયમી વેચાણથી પ્લોટ આપી દેવામાં આવશે. AMC દ્વારા 22 જેટલા પ્લોટો માટે તા.18 જૂને જાહેર હરાજી કરાશે. જોકે, હવે લીઝ પર આપવાને બદલે પ્લોટને કાયમી ધોરણે વેચાણ કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શહેરના મોટેરા, ચાંદખેડા, બોડકદેવ, થલતેજ, શીલજ, મકરબા, વસ્ત્રાલ, નિકોલ, નરોડા મુઠીયા, વટવા, ઇસનપુર અને નારોલ વિસ્તારમાં આવેલાં જુદા જુદા હેતુનાં 22 પ્લોટની હરાજી મારફતે વેચીને AMCને રૂ. 2,250.96 કરોડની આવક થશે. એસ્ટેટ-ટીડીઓ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, નાગરિકોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવા માટે AMCના આવકના મુખ્ય સ્ત્રોતમાં પ્રોપર્ટી ટેક્સ અને TP વિભાગ દ્વારા એકત્રિત થતી આવકનો સમાવેશ થાય છે. AMCને TPસ્કીમ અન્વયે પ્રાપ્ત થતાં જુદા જુદા ક્ષેત્રફ્ળનાં સેલ ફોર રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુનાં પ્લોટ 99 વર્ષનાં ભાડાપટ્ટે આપવામાં આવતાં હોય છે. જોકે ભાડાપટ્ટે અપાતાં પ્લોટ બજારભાવે જ અપાય છે. માર્ચ મહિનામાં કમિશનરની મંજૂરીથી મોટેરા, ચાંદખેડા, બોડકદેવ, થલતેજ, શીલજ, મકરબા, વસ્ત્ર્રાલ, નિકોલ, નરોડા મુઠીયા, વટવા, ઇસનપુર અને નારોલ વિસ્તારમાં આવેલાં જુદા જુદા હેતુનાં અને અલગ અલગ ક્ષેત્રફ્ળનાં 22 પ્લોટની હરાજીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ આ બાબતે ઈન્ટરનેશનલ રીયલ એસ્ટેટ ડેવલપર અને કેટલીક સંસ્થાઓ અને દ્વારા પ્લોટ 99 વર્ષનાં ભાડા પટ્ટે આપવાને બદલે કાયમી વેચાણથી આપવા રજૂઆતને ધ્યાને લઇ મોવડીમંડળની સૂચનાને પગલે AMC સત્તાધીશોએ 22 જેટલાં પ્લોટની હરાજીની પ્રક્રિયાને સ્થગિત કરી દીધી હતી.


