- સાંસદ નિમુબેને બાંભણીયાએ દિલ્હી ખાતે શપથ લીધા
- નીમુબેન બાંભણીયાએ લીધા રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ
- ભાવનગરના પ્રશ્નો મામલે કેન્દ્ર સરકારમાં સીધો અવાજ પહોંચાડવાનો આશાવાદ જાગ્યો
ભાવનગરને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે નિમુબેન બાંભણિયા ભાવનગરના પ્રથમ મંત્રી મંડળમાં સ્થાન પામ્યા છે, જોકે, રાજ્યસભામાં સાંસદ રહી ચૂકેલા મનસુખ માંડવિયા મંત્રી તરીકે નિમણુંક પામ્યા હતા, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે નિમુબેન પ્રથમ વખત ચૂંટાઈને રાજ્યકક્ષાના મંત્રી મંડળમાં સ્થાન મળતા ભાવનગરનું પ્રતિનિધિત્વ યથાવત રહ્યુ છે, જેના લીધે ભાવનગરના પ્રશ્નો મામલે કેન્દ્ર સરકારમાં સીધો અવાજ પહોંચાડવાનો આશાવાદ જાગ્યો છે.
કેન્દ્રીય મંત્રી મંડળમાં PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે મંત્રી મંડળમા સમાવિષ્ટ સાંસદ સભ્યોએ શપથ લીધા હતા, દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં ભાવનગરના સાસંદ નિમુબેન બાંભણિયાએ પણ શપથ લીધા છે. પ્રથમ વખત લોકસભામાં લડીને 4.55 લાખની લીડ લઈને જનપ્રતિનિધિ બનેલા નિમુબેનનો મંત્રી મંડળમાં સમાવેશ થતા સ્થાનિક ભાજપ કાર્યકરો, પદાધિકારીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો, સાંજના સમયે શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો દોડી ગયા હતા અને ફટાકડા ફોડીને એક બીજાને મિઠાઈ ખવડાવીને ખૂશી વ્યક્ત કરી હતી.
ગત ટર્મમાં રાજ્ય સભાના સાંસદ તરીકે પસંદગી પામીને કેન્દ્ર સરકારમાં મનસુખ માંડવિયાએ ભાવનગરનું પ્રતિનિત્વ કર્યુ હતુ, આ વખતે તેઓ પોરબંદર ખાતેથી ચૂંટાઈને મંત્રી મંડળમાં સ્થાન પામ્યા છે. તો ભાવનગરમાંથી ચૂંટાયેલા નિમુબેન પ્રથમ ટર્મમાં જ ચૂંટાઈને સિધા મંત્રી મંડળમાં સ્થાન પામ્યા છે. વર્ષ 1996થી ભાવનગરમાં ભાજપના સાંસદ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પરંતુ નવમા સાંસદ તરીકે ચૂંટાયેલા નિમુબેનને પ્રથમ ટર્મમાં જ મંત્રી મંડળમાં સ્થાનમાં મળવાથી તેઓને લોટરી લાગી હોવાનું કાર્યકરો જણાવી રહ્યા છે. શિક્ષિત તેમજ વધુ લીડ, બહુમત સમાજના પ્રતિનિધિત્વ તરીકે મહિલા હોવાથી નિમુબેન બાંભણીયાને શિક્ષણ, મહિલા અને બાળ વિભાગ જેવા કોઈ વિભાગની જવાબદાર સોંપવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શપથ વીધીમાં પ્રથમ ડો. માંડવિયા બાદ નિમુબેને મંત્રી પદે શપથ લીધા હતા. નોંધનિય છે કે, ભાવનગરના મહત્વના કેટલાક પેચીદા પ્રશ્નોનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવામાં નિમુબેનની મહત્વની જવાબદારી રહેશે, તેમજ પડકારો પણ એટલા જ રહેશે.


