મનપાની તપાસ સમિતિના વિરોધમાં બિલાડીના રમકડાં સાથે કોંગ્રેસનો હલ્લાબોલ
જંગલેશ્વર ડિમોલેશનના વિવાદીત ખર્ચના બિલ બાબતે નિમેલી તપાસ કમિટીનો વિરોધ : કમિશનર હાય હાયના સુત્રોચ્ચાર, રાજય સરકાર SITની રચના કરે તેવી માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચને લઇને બિલનો વિવાદ ચાલી રહ્યો છે અને તેની યોગ્ય તપાસ માટે મનપા દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બીલ મંજૂર કર્યા છે તેનો જ સમાવેશ કરતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે અને આજે કોંગ્રેસ દ્વારા બિલાડીના રમકડાં સાથે મનપામાં હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કમિશનર હાય હાયના સુત્રોચ્ચાર કરી બિલાડીને જ દુધના રખોપા સોંપ્યાનો કટાક્ષ કરી આ મામલે રાજય સરકાર દ્વારા SITની રચના કરવામાં આવે તે બાબતે માંગ કરી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા તેમજ પ્રદેશ ના આગેવાનો દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી જંગલેશ્વર મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં સામે આવેલા કથિત ભ્રષ્ટાચાર અંગે સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા સહિત વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર શહેરમાં અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. જનતાના પરસેવાના પૈસાનો આ પ્રકારનો ખર્ચ ખરેખર જરૂરી હતો કે નહીં અને રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે બનાવટી તેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર મામલાની તપાસ માત્ર મહાનગરપાલિકાની આંતરિક સમિતિ દ્વારા નહીં, પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચાયેલી સ્વતંત્ર તપાસ સમિતિ દ્વારા કરવામાં આવે. સાથે જ ડિમોલિશન દરમિયાન થયેલા તમામ ખર્ચ, બિલો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, કોન્ટ્રાકટ અને ચુકવણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે.
કોંગ્રેસે વધુમાં માંગ કરી છે કે તપાસ દરમિયાન જો અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાકટરો અથવા અન્ય કોઈ વ્યક્તિની મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ અથવા ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવે તો તેમની સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકારી તિજોરીને થયેલા નુકસાનની વસૂલાત જવાબદાર વ્યક્તિઓ પાસેથી કરવામાં આવે.
ડૉ.રાજદીપસિંહ જાડેજા સહિત મહેશભાઈ રાજપૂત, હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાધેલા, વશરામભાઈ સાગઠીયા, અતુલભાઇ રાજાણી, ડી.પી. મકવાણા, સંજય અજુડીરીયા, અર્જુનભાઈ ચૌહાણ, મકબુલ ભાઈ દાઉદાની ઇબ્રાહિમભાઈ સોરા, ગોપાલભાઈ અનડકટ, દિપ્તીબેન સોલંકી, રસીલાબેન ગરૈયા, મનીષાબેન રોજાસરા, સુધાબા વાઘેલા નીતિનભાઈ ભંડેરી, વૈશાલી શિંદે, આદિત્ય સિંહ ગોહિલ, મેહુલ મકવાણા, તુષાર નંદાણી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જાહેર નાણા જનતાની અમાનત છે : શહેર પ્રમુખ
ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જાહેર નાણાં એ જનતાની અમાનત છે અને તેનો એક-એક રૂપિયો જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું ઢાંકપીછોડું કર્યા વિના સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરીને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ અને મક્કમ માંગ છે.


