- દિવસેને દિવસે કોટ અંદરના વિસ્તારમાં કોલેરાના કેસ વધી રહ્યા છે
- આરોગ્ય વિભાગે ટેન્કરના સેમ્પલ લઈ બહારથી દોડતા ટેન્કરો બંધ કરાવાયા
- તંત્ર વહેલી તકે કોલેરા પર નિયંત્રણ મેળવે તેવી માંગ કરી
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના કોટ અંદરના વિસ્તારને કોલેરાએ બાનમાં લીધો છે. દિવસેને દિવસે કોટ અંદરના વિસ્તારમાં કોલેરાના કેસ વધી રહ્યા છે. તેને લઈ જિલ્લાનું આરોગ્ય અને શહેરનું પાલિકા તંત્ર દોડતું થયું છે અને ડોર ટુ ડોર સર્વે કરી લોકોના ઘરે જરૂરી દવાઓ સહિત ક્લોરિનની કામગીરી હાથ ધરી છે. મહત્વની વાત છે કે આરોગ્યની તપાસ દરમિયાન બહારથી આવતા પાણીના ટેન્કરો પણ પીવા માટે અયોગ્ય પાણી લાવતા હોવાનો ઘટસ્પોટ થતા આરોગ્ય વિભાગે ટેન્કરના સેમ્પલ લઈ બહારથી દોડતા ટેન્કરો બંધ કરાવાયા છે.
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં દિવસે કોલેરાના કેસ વધી રહ્યા છે
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં દિવસે કોલેરાના કેસ વધી રહ્યા છે. પાલનપુરના કોટ અંદરના વિસ્તારને કોલેરાએ બાનમાં લીધો હોય તેમ 300થી વધુ લોકો કોલેરાના ઝાડા ઉલટીથી અસરગ્રસ્ત થયા છે. તો આજે વધુ 19 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે. તેને લઈ આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્ર દોડતું થયું છે. શહેરમાં આવેલી ખાણી પીણી અને ઠંડા પીણાના સ્ટોલ 10 દિવસ માટે બંધ કરી દેવાયા છે તો સાથે જ કોટ અંદરના વિસ્તારમાં આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે હાથ ધરી જે લોકો ઝાડા ઉલટીનો ભોગ બન્યા હોય તેમને જરૂરી દવાઓ સહિત ક્લોરિનની કામગીરી હાથ ધરી છે. જોકે આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન બહારથી પાણી લઈ આવેલું ટેન્કર શંકાસ્પદ જણાતા આરોગ્ય વિભાગે ટેન્કરના સેમ્પલ લીધા તો ટેન્કરમાં ક્લોરિનની અછત હોવાને કારણે ટેન્કરનું પાણી પીવા માટે અયોગ્ય છે તેમ સામે આવ્યું છે. જેને લઇ આરોગ્ય વિભાગે બહારથી આવતા ટેન્કર સદંતર બંધ કરાવી દીધા છે. સાથે જ જે લોકો ઝાડા ઉલટીની બીમારીનો ભોગ બન્યા છે તેમને જરૂરી સારવાર આપવા તજવીજ હાથ ધરી છે.
તંત્ર વહેલી તકે કોલેરા પર નિયંત્રણ મેળવે તેવી માંગ કરી
મહત્વની વાત છે કે આરોગ્ય વિભાગની સાથે સાથે પાલિકાની ટીમો પણ દોડતી થઈ છે અને પાલિકાએ અલગ અલગ ટીમો બનાવી કોટ અંદરના વિસ્તારમાં પાણી પહોંચાડતી તમામ પાઇપલાઇનનું ચેકિંગ હાથ ધરાયું છે. સાથે જ વિસ્તારમાંથી ગંદકી દૂર કરવા પાલિકાની ટીમો કામે લાગી છે. મહત્વની વાત છે કે કોલેરામાં પાણીજન્યો રોગો હોવાથી શહેરી વિસ્તારમાં આવેલા ખાણીપીણી શહિત ઠંડા પીણાના સ્ટોલો સદંતર બંધ કરાવી શહેરમાં ફાટી નીકળેલા રોગચાળાને ડામવા આરોગ્ય અને પાલિકા વિભાગની ટીમ કામે લાગી છે. કોલેરાના ભરડાથી ભયભીત થઈ ચૂકેલા સ્થાનિકો અત્યારે તો એક જ માંગ કરી રહ્યા છે કે કોલેરાએ અમારા વિસ્તારમાં ઘરે ઘરે ખાટલા ભરાવી દીધા છે ત્યારે તંત્ર વહેલી તકે કોલેરા પર નિયંત્રણ મેળવે તેવી માંગ કરી છે.


