- જીયુડીસી હસ્તક પાણીની લાઈનનું કામ પૂરું થતા પાણીનો પ્રશ્ન હલ થશે, હાલ વધુ ટેન્કરો દોડાવાશે : પાલિકા
- પાલિકાના કમ્પાઉન્ડમાં થાળી-વેલણ વગાડતી મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા
- પાલિકા પ્રમુખને રજૂઆત કરતી મહિલાઓ અને આગેવાનો,પા. પ્રમુખને રજૂઆત કરી
સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ખરા ઉનાળે પણ પાણીથી હીલોળા ભરી રહ્યો છે. ધોળીધજા ડેમમાંથી છેક રાજકોટ, જામનગર, કચ્છ અને બોટાદ સુધી પીવાનું પાણી પહોંચે છે. પરંતુ આ ડેમ જયાં આવેલો છે તે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના લોકો કુવા કાંઠે તરસ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
નગરપાલિકાની અણ આવડત ગણો કે પ્રજાની કમનસીબી પરંતુ શહેરના છેવાડાના વિસ્તારોને આઝાદીના 75 વર્ષ પછી પણ પ્રાથમીક સુવિધા એવા પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડે છે. ત્યારે શહેરના 3 વિસ્તારોની મહિલાઓ થાળી-વેલણ સાથે સોમવારે નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા દોડી ગઈ હતી. રાજુભાઈ કરપડા, કમલેશભાઈ કોટેચા, અમૃતભાઈ મકવાણા, દીપકભાઈ ચીહલા, કૃણાલ શાહ સહિતનાઓની આગેવાનીમાં મહિલાઓએ પાલિકાના કમ્પાઉન્ડમાં થાળી-વેલણ વગાડી પાલિકા કચેરી ગજવી મુકી હતી. અને પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયાની ચેમ્બરમાં જઈ લેખિત અને મૌખીક રજૂઆતો કરી હતી. મહિલાઓના જણાવાયા મુજબ, વર્ષોથી સુડવેલ સોસાયટીમાં રહેવા છતાં હજુ સુધી પાણી મળતુ નથી. પાણીની લાઈનો તો નાંખવામાં આવી છે. પરંતુ તેમાં પાણી આવતુ નથી. જયારે મુળચંદ રોડ પરની બજરંગપાર્ક અને નવા જંકશન પાછળ આવેલ સી.યુ.શાહ નગરના લોકોએ પણ પાણી આપવા માંગ કરી હતી. જો પાલિકા અમોને પાણી નહી આપે તો આ વિસ્તાર છોડી હીજરતની સ્થીતી ઉભી થવાની હોવાની પણ મહિલાઓએ રજૂઆતો કરી હતી.
આગેવાનો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી । નગરપાલિકાના કમ્પાઉન્ડમાં થાળી-વેલણ વગાડી પાલિકા ગજવ્યા બાદ મહિલાઓ સહિતનું ટોળુ પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં આવ્યુ હતુ. આ સમયે અમુક આગેવાનોએ પોલીસની બીક રાખ્યા વગર ચેમ્બરમાં આવવા મહિલાઓને જણાવતા હાજર પોલીસ કર્મીઓનો પીત્તો ગયો હતો અને અમો કોઈને કયાં ચેમ્બરમાં આવતા રોકીએ છીએ તેમ કહ્યુ હતુ. અને આગેવાનો અને પોલીસ વચ્ચે શાબ્દીક ઝકમક ઝરી હતી.
ટેન્કરોના રૂપિયા 300 લેવાતા હોવાની રાવ વઢવાણની સુડવેલ સોસાયટીના રહીશોએ જણાવ્યુ કે, અમારા વિસ્તારમાં રસ્તા ખરાબ હોવાથી પીવાના પાણીના ટેન્કરો લઈને આવનારા ડ્રાઈવરો અમુકવાર ના પાડે છે. જયારે કોઈ વાર તો ટેન્કરના રૂ.300 પણ લે છે. ત્યારે પાણી વેરા ભરતા અમારા વિસ્તારના ગરીબ પરીવારના રહીશોને પીવાના પાણીના 300 રૂપીયા આપવા પડે છે.
ત્રણેય વિસ્તારોનાં કામો પ્રક્રિયામાં છે । નગરપાલિકાના ચીફ ઈજનેર કયવંતસીંહ હેરમાએ જણાવ્યુ કે, નવા જંકશન પાછળના સી.યુ.શાહ નગર આસપાસનો વિસ્તાર નવો ડેવલપ થયો છે. આથી ત્યાં અમૃત 2.0 યોજના હેઠળ પાણીની લાઈનો નંખાશે. જયારે અન્ય વિસ્તારો સુડવેલ સોસાયટી અને બજરંગ પાર્ક સોસાયટી અગાઉ વઢવાણ પાલિકામાં હતા. સંયુકત પાલિકા બનતા આ બન્ને વિસ્તારોમાં જીયુડીસી હસ્તક પીવાના પાણીની લાઈનો નાંખવામાં આવનાર છે. જેમાં ટેન્ડરીંગ થયુ છે. વર્ક ઓર્ડર અપાયા બાદ કામ શરૂ થશે. આ કામ પુરૂ ન થાય ત્યાં સુધી પાણીના વધુ ટેન્કરો આ વિસ્તારોમાં દોડાવાશે.


