- બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ભારત આવવાથી ચીનમાં ભારે ચર્ચા
- શેખ હસીના અને પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત થવાની છે
- પીએમ શેખ હસીના ચીન અને ભારત વચ્ચેના સંબંધોને સંતોલન કરવાનો પ્રયાસ કરશે
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ગત 15 દિવસ દરમિયાન બીજીવાર ભારત પ્રવાસે આવ્યાં છે. નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ અગાઉ નવમી જૂને વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે હસીના આવ્યા હતા. પરંતુ તેઓ ત્યારબાદ બાંગ્લાદેશ ચાલ્યા ગયા હતા. હવે બે અઠવાડિયા પછી શેખ હસીના સતત બીજીવાર ભારતની મુલાકાતથી ચીનને ચોંકાવી દીધું છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના ભારતની 2 દિવસની મુલાકાતે અહીં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ ખાસ મુલાકાત કરશે. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળશે. ચીન શેખ હસીનાની આગામી ભારત મુલાકાત પર નજર રાખી રહ્યું છે. શેખ હસીના અને પીએમ મોદી સાથે સૌથી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાતચીત થવાની છે. તે ભારત સાથે સતત નિકટતા વધારી રહી છે અને દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવી રહી છે. આ માત્ર ચીન જ નહીં પરંતુ પાકિસ્તાન માટે પણ ચિંતાજનક હોઈ શકે છે.
કયા મુદ્દાઓ પર ચર્ચા થશે
પીએમ મોદી અને શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન સીમા પાર કનેક્ટિવિટીથી લઈને તિસ્તા વોટર શેરિંગ એગ્રીમેન્ટ, મ્યાનમારમાં સુરક્ષાની સ્થિતિ તેમજ બાંગ્લાદેશથી આર્થિક અને વેપારના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
ભારત અને ચીનને સાથે લાવવાનો પ્રયાસ
મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશી પીએમ જુલાઈમાં ચીનની મુલાકાતે પણ જવાના છે. આવી સ્થિતિમાં તેમના ભારત આગમન પહેલા બેઈજિંગ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થનારી દ્વિપક્ષીય મંત્રણા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. પીએમ શેખ હસીના ભારત પછી ચીનની મુલાકાતનું આયોજન કરીને બંને દેશો સાથેના સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે.


