પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ
NRI યુવતીની અનોખી સફર, હાસ્ય-રોમાન્સ અને લાગણીઓથી ભરેલી કથા સાથે દર્શકોને મળશે સંપૂર્ણ પારિવારિક મનોરંજન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ વિષયો પર આધારિત ફિલ્મો બની રહી છે, ત્યારે હવે એક વધુ પારિવારિક અને મનોરંજક ફિલ્મ “NRI Dulhan” આગામી 5 જૂન, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રેમ, પરિવાર, ભારતીય સંસ્કૃતિ અને લાગણીઓના સુંદર સમન્વય સાથે તૈયાર થયેલી આ ફિલ્મ હાલમાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ફિલ્મના સત્તાવાર ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળતા ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વધી રહી છે.
અગ્ર ગુજરાતની મુલાકાતે આવેલા ફિલ્મના અભિનેતા, અભિનેત્રી અને ગુજરાત ફિલ્મના સુપરસ્ટાર ધર્મેશ વ્યાસે જણાવ્યું હતું કે, “NRI Dulhan” માત્ર એક રોમેન્ટિક ફિલ્મ નથી, પરંતુ ભારતીય સંસ્કારો, પારિવારિક મૂલ્યો અને સંબંધોની સાચી ગરિમાને રજૂ કરતી હાર્ટ-વોર્મિંગ ફેમિલી ડ્રામા છે. ફિલ્મમાં હાસ્ય, ભાવનાત્મક ક્ષણો અને રોમાંસનું એવું મિશ્રણ જોવા મળશે, જે દરેક ઉંમરના દર્શકોને પસંદ પડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફિલ્મની વાર્તા એક આધુનિક અને આત્મનિર્ભર NRI યુવતીની આસપાસ કેન્દ્રિત છે. વિદેશી જીવનશૈલીમાં ઉછરેલી આ યુવતી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને ખાસ મહત્વ આપતી નથી. તેના માટે પશ્ચિમી જીવનશૈલી જ વધુ પ્રગતિશીલ અને આદર્શ હોય છે. જોકે જીવનમાં એક એવો વળાંક આવે છે, જે તેની આખી વિચારસરણી બદલી નાખે છે.
યુવતીના પિતાના અવસાન બાદ તેની અંતિમ ઇચ્છા સામે આવે છે. પિતા ઇચ્છતા હોય છે કે તેમની પુત્રી એક સંસ્કારી અને આદર્શ ભારતીય યુવક સાથે લગ્ન કરે. પોતાના પિતાની આ અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા માટે યુવતી ભારત આવે છે. અહીંથી શરૂ થાય છે એક અનોખી અને રસપ્રદ સફર.
ભારતમાં આવ્યા બાદ યુવતીને ત્રણ એવા યુવકો મળે છે, જેમના સ્વભાવ, વિચારધારા અને જીવન જીવવાની પદ્ધતિઓ એકબીજાથી સંપૂર્ણપણે અલગ હોય છે. દરેક વ્યક્તિ સાથેની મુલાકાત તેને જીવનના નવા પાઠ શીખવે છે. શરૂઆતમાં સંસ્કૃતિ અને પરંપરાઓને માત્ર જૂના વિચારો માનતી યુવતી ધીમે ધીમે સંબંધોની ઊંડાણપૂર્વક સમજ મેળવવા લાગે છે.
કથાના દરેક પડાવે હાસ્યજનક પ્રસંગો, ભાવનાત્મક પળો અને રોમેન્ટિક ક્ષણો દર્શકોને મનોરંજન આપશે. સાથે જ ફિલ્મ ભારતીય પરિવાર પ્રણાલી, સંબંધોની મજબૂતી અને સંસ્કારોના મહત્વને પણ ખૂબ જ સરળ અને અસરકારક રીતે રજૂ કરે છે. ફિલ્મનો મુખ્ય સંદેશ એ છે કે આધુનિકતા અને પરંપરા બંને સાથે મળીને જીવનને વધુ સુંદર બનાવી શકે છે.
ફિલ્મમાં ગુજરાતી સિનેમાના જાણીતા અને પ્રતિભાશાળી કલાકારોની ટીમ જોવા મળશે. મુખ્ય ભૂમિકામાં અભિનેત્રી આંચલ શાહ જોવા મળશે, જે NRI યુવતીનું પાત્ર ભજવી રહી છે. તેમના અભિનયમાં આધુનિકતા અને લાગણીઓનો સુંદર સમન્વય જોવા મળશે.

અભિનેતા વિશાલ સોલંકી ફિલ્મમાં મુખ્ય રોમેન્ટિક અને ડ્રામેટિક પાત્રમાં જોવા મળશે. તેમના પાત્ર દ્વારા પ્રેમ અને સંબંધોના વિવિધ પાસાઓને રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે આકાશ પંડ્યા એક મહત્વપૂર્ણ અને મનોરંજક ભૂમિકામાં દર્શકોને હસાવતાં જોવા મળશે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા ધર્મેશ વ્યાસ પણ ફિલ્મનો મહત્વનો ભાગ છે. અનેક સફળ ફિલ્મો અને નાટકોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવનાર ધર્મેશ વ્યાસનો અનુભવ ફિલ્મને વધુ મજબૂત બનાવશે. તેમની સાથે દિગ્ગજ અભિનેતા અને લેખક દિલીપ રાવલ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. તેમના અભિનય અને વ્યક્તિત્વનો લાભ ફિલ્મને ચોક્કસપણે મળશે.
સોશિયલ મીડિયા પર પોતાની અનોખી ઓળખ બનાવનારી અભિનેત્રી ગ્રીવા કંસારા પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિય બનેલી ગ્રીવાના અભિનયને મોટા પડદા પર જોવા માટે તેમના ચાહકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અનુભવી દિગ્દર્શકો ભરત મહેતા અને રફીક પઠાણ (વડનગરી) એ સંભાળી છે. બંને દિગ્દર્શકોએ સંયુક્ત રીતે ફિલ્મને મનોરંજક અને લાગણીસભર બનાવવા માટે વિશેષ મહેનત કરી હોવાનું ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે.
ફિલ્મના નિર્માતા વિપુલ સંઘવી અને રમેશ શાહ છે. તેમણે ફિલ્મના નિર્માણમાં ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખવા સાથે પારિવારિક દર્શકોને ધ્યાનમાં રાખીને એક સ્વચ્છ અને સંસ્કારી મનોરંજન આપવાનો પ્રયાસ કર્યો છે. નિર્માતાઓના જણાવ્યા મુજબ ફિલ્મમાં એવી કથા રજૂ કરવામાં આવી છે, જે પરિવારના દરેક સભ્યને સ્પર્શી જશે. ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા દૃશ્યો, સંવાદો અને સંગીતને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને NRI યુવતી અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેનો વિરોધાભાસ તથા ત્યારબાદ તેમાં આવતો પરિવર્તન દર્શકોને આકર્ષી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મ અંગે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે.
ગુજરાતી ફિલ્મોના દર્શકો માટે “NRI Dulhan” એક એવી ફિલ્મ બની શકે છે, જેમાં હાસ્ય, રોમાન્સ, લાગણીઓ અને પરિવારના મૂલ્યોનું સંપૂર્ણ પેકેજ જોવા મળશે. ફિલ્મનું કથાનક આજની યુવા પેઢી અને પરંપરાગત વિચારધારા વચ્ચેના અંતરને સુંદર રીતે રજૂ કરે છે. સાથે જ તે દર્શાવે છે કે જીવનમાં સંબંધો અને સંસ્કારોનું મહત્વ ક્યારેય ઓછું થતું નથી.
આવતી 5 જૂન, 2026ના રોજ 2D ફોર્મેટમાં રિલીઝ થનારી “NRI Dulhan” પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી એક સંપૂર્ણ ગુજરાતી મનોરંજક ફિલ્મ તરીકે ચર્ચામાં છે. પ્રેમ, હાસ્ય અને લાગણીઓની આ અનોખી સફર દર્શકોના દિલમાં કેટલી જગ્યા બનાવે છે તે હવે રિલીઝ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ ટ્રેલર અને ફિલ્મ વિશે મળી રહેલા પ્રતિસાદને જોતા ગુજરાતી સિનેમાપ્રેમીઓમાં ફિલ્મ માટે સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

‘NRI Dulhan’માં પહેલીવાર કોમેડી રોલમાં જોવા મળશે અભિનેત્રી ગ્રીવા કંસારા
આગામી 5 જૂનના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ NRI Dulhan ને લઈને દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મમાં મહત્વપૂર્ણ પાત્ર ભજવનાર મૂળ વિસનગરની વતની અને હાલ વડોદરા ખાતે રહેતી અભિનેત્રી ગ્રીવા કંસારાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ તેમના કારકિર્દીની ખાસ ફિલ્મોમાંથી એક છે, કારણ કે તેમાં તેઓ પહેલીવાર કોમેડી રોલમાં જોવા મળશે.
ગ્રીવા કંસારાએ જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2006થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં તેમણે હિન્દી, ગુજરાતી, ભોજપુરી અને રાજસ્થાની ભાષાની મળી કુલ 35 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ફિલ્મોમાં તેમણે લીડ રોલ, સેકન્ડ લીડ તેમજ નેગેટિવ પાત્રો ભજવ્યા છે, પરંતુ ‘NRI Dulhan’ તેમની પ્રથમ એવી ફિલ્મ છે જેમાં તેઓ સંપૂર્ણ કોમેડી અંદાજમાં દર્શકોનું મનોરંજન કરશે.
તેમણે કહ્યું કે ફિલ્મમાં માત્ર હાસ્ય જ નહીં, પરંતુ લવ સ્ટોરી, ઈમોશનલ ડ્રામા અને પારિવારિક મૂલ્યોનો પણ સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. આજના સમયના સમાજ અને યુવા પેઢીના વિચારોને ધ્યાનમાં રાખીને ફિલ્મનું કથાનક તૈયાર કરવામાં આવ્યું છે. ગ્રીવા કંસારાના જણાવ્યા મુજબ આજના ઘણા યુવક-યુવતીઓ વિદેશમાં સ્થાયી થવાના અને ત્યાં લગ્ન કરવાના સપના જોતા હોય છે. ફિલ્મમાં આ બદલાતી માનસિકતાને એક અલગ દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવી છે. સાથે જ ભારતીય સંસ્કૃતિ, પરિવાર અને સંબંધોની સાચી હૂંફને પણ ઉજાગર કરવામાં આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફિલ્મ જોયા બાદ ઘણા યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને પારિવારિક મૂલ્યોનું મહત્વ વધુ સારી રીતે સમજાશે. પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી આ ફિલ્મ દર્શકોને ચોક્કસ પસંદ પડશે અને હાસ્ય સાથે એક સુંદર સંદેશ પણ આપશે.
વિદેશી ચકાચૌંધમાં લોકો પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યા છે : અભિનેતા ધર્મેશ વ્યાસ
ગુજરાતી ફિલ્મોને સરકાર તરફથી વધુ પ્રોત્સાહનની જરૂર

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ધર્મેશ વ્યાસે જણાવ્યું છે કે આજના સમયમાં લોકો વિદેશી જીવનશૈલી પાછળ અંધ દોડ લગાવી રહ્યા છે અને પોતાની સંસ્કૃતિ, ભાષા તથા સંસ્કારોને ભૂલી રહ્યા છે. આગામી 5 જૂને રિલીઝ થનારી ફિલ્મ ‘NRI Dulhan’ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સંસ્કૃતિના મૂલ્યોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે.
ધર્મેશ વ્યાસે જણાવ્યું હતું કે તેમનું લગભગ 90 ટકા પરિવાર વિદેશમાં રહે છે, છતાં તેઓ હંમેશા તેમને ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને ભારતીય પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાની સલાહ આપે છે. તેમના મતે ગુજરાતી ભાષા અને સંસ્કાર આજે પણ સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે અને તેને જાળવી રાખવાની જવાબદારી દરેક ગુજરાતી પર છે.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોને પૂરતું પ્રોત્સાહન મળતું નથી. ઘણી વખત મોટી હિન્દી ફિલ્મોના રિલીઝ સમયે ગુજરાતી ફિલ્મોના શો અથવા સ્લોટમાં ફેરફાર કરવામાં આવે છે અથવા યોગ્ય સમય આપવામાં આવતો નથી. જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મોને સરકાર અને થિયેટરો તરફથી વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે તાજેતરમાં એક મરાઠી ફિલ્મને પ્રાઈમ ટાઈમ શો આપવા માટે અન્ય ફિલ્મનો સ્લોટ બદલી દેવામાં આવ્યો હતો, જે સ્થાનિક ફિલ્મ ઉદ્યોગ પ્રત્યેના સમર્થનને દર્શાવે છે.
ગુજરાતમાં નિર્માણ પામેલા ફિલ્મ સ્ટુડિયો અંગે પણ તેમણે નિરાશા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ અનેક જાણીતા ફિલ્મ નિર્માતાઓએ ત્યાં પ્લોટ ખરીદ્યા હોવા છતાં હજુ સુધી અપેક્ષિત વિકાસ જોવા મળ્યો નથી. તેમણે સરકારને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ફિલ્મોને યોગ્ય સ્થાન અપાવવા માટે આગળ આવવાની અપીલ કરી હતી.
ધર્મેશ વ્યાસે અંતમાં જણાવ્યું હતું કે ‘NRI Dulhan’ માત્ર મનોરંજન પૂરતી ફિલ્મ નથી, પરંતુ તે ગુજરાતી સંસ્કૃતિ, પરિવાર અને સંસ્કારોનું મહત્વ ઉજાગર કરતી એક સુંદર પારિવારિક ફિલ્મ છે. સાથે જ તેમણે અગ્ર ગુજરાત પરિવાર અને તેના સ્ટાફના કાર્યની પણ પ્રશંસા કરી હતી.

‘NRI Dulhan’ 5 જૂને ગુજરાત-મહારાષ્ટ્રના 85 સિનેમાઘરોમાં થશે રિલીઝ
ડાયરેક્ટર રફીક પઠાણનો દાવો : મુંબઈ, અમદાવાદ અને હાલોલમાં થયું ફિલ્મનું શૂટિંગ, અમદાવાદમાં યોજાશે પ્રીમિયર શો
આગામી 5 જૂને રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ NRI Dulhan ને લઈને ફિલ્મપ્રેમીઓમાં ઉત્સુકતા વધી રહી છે. ફિલ્મના ડાયરેક્ટર રફીક પઠાણે જણાવ્યું હતું કે આ તેમની કારકિર્દીની 24મી ફિલ્મ છે અને દર્શકોને એક સંપૂર્ણ પારિવારિક મનોરંજન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ‘NRI Dulhan’ ગુજરાત અને મહારાષ્ટ્રના અંદાજે 85 જેટલા સિનેમાઘરોમાં એકસાથે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના ભવ્ય પ્રદર્શન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રિલીઝ પૂર્વે આવતીકાલે અમદાવાદ ખાતે ફિલ્મનો પ્રીમિયર શો યોજાશે, જેમાં ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતાઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
રફીક પઠાણના જણાવ્યા મુજબ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મુંબઈ, અમદાવાદ અને હાલોલ ખાતે કરવામાં આવ્યું છે. વિવિધ લોકેશનો પર ફિલ્મના મહત્વના દૃશ્યો ફિલ્માવવામાં આવ્યા છે, જે દર્શકોને દૃશ્યાત્મક રીતે પણ આકર્ષિત કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં પ્રેમ, લાગણીઓ, હાસ્ય અને ભારતીય સંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળશે. પારિવારિક મૂલ્યોને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી આ ફિલ્મ દરેક ઉંમરના દર્શકોને પસંદ પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. 5 જૂને રિલીઝ થનારી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક યાદગાર ઉમેરો સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


