- બજરંગપુરાથી અણીન્દ્રા તરફ જતી કેનાલમાં બનેલી કરુણાંતિકા
- સુરેન્દ્રનગર શહેરમાં રહેતા બન્ને મિત્રો વાડીમાં ઈલેક્ટ્રિક કામ કરવા ગયા હતા
- કેનાલમાં ઉતરેલ તોસીફનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો
સુરેન્દ્રનગરની ફીરદોસ સોસાયટી અને અમન પાર્કમાં રહેતા 2 મિત્રો વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે આવેલ વાડીમાં ઈલેકટ્રીક કામ કરવા ગયા હતા. જયાં બપોરે જમીને કેનાલમાં પાણી પીવા જતા એક મિત્ર કેનાલમાં ગરકાવ થયો હતો. જેને બચાવવા બીજો મિત્ર પડતા બન્ને ડુબી ગયા હતા. અને બન્નેની લાશ મળી આવી હતી.
સુરેન્દ્રનગરની ફીરદોસ સોસાયટીમાં રહેતા તોસીફભાઈ કાદરભાઈ મુલતાની અને રાજકોટ હાઈવે પર આવેલ અમનપાર્ક સોસાયટીમાં રહેતા સદ્દામહુસેન સલીમભાઈ શેખ બન્ને મિત્રો છે. વઢવાણ તાલુકાના અણીન્દ્રા રોડ પર આવેલી એક વાડીમાં તા. 25મીએ તેઓ ઈલેકટ્રીક કામ કરવા ગયા હતા. જયાં બપોરે જમીને તેઓ નજીકમાંથી પસાર થતી બજરંગપુરા-અણીન્દ્રા કેનાલમાં પાણી પીવા ગયા હતા. આ સસમયે કેનાલમાં ઉતરેલ તોસીફનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જયારે નજર સામે મિત્રને પાણીમાં ડુબતા જોઈ તરતા ન આવડતુ હોવા છતાં સદ્દામહુસેને પણ પાણીમાં છલાંગ લગાવી હતી. અને બન્ને પાણીમાં ડુબવા લાગ્યા હતા. બનાવની જાણ થતા આસપાસથી લોકો ઉમટી પડયા હતા. આ અંગે સુરેન્દ્રનગર પાલિકાના ફાયર વિભાગને જાણ થતા દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ, રાહુલભાઈ સહિતનાઓ દોડી ગયા હતા. અને મંગળવારે સાંજના સમયે સદ્દામહુસેનની લાશ હાથ લાગી હતી. જયારે રાતના સમયે લાશની શોધખોળ કરવી મુશ્કેલ હોઈ બુધવારે સવારે તપાસ કરતા તોસીફની પણ ડેડ બોડી મળી આવી હતી. સદ્દામહુસેની લાશનું લખતર સરકારી દવાખાને અને તોસીફની ડેડબોડીનું શહેરની ગાંધી હોસ્પિટલમાં પીએમ કરાવાય હતુ. મૃતકના પરિવારજનો કોઈ કાનુની કાર્યવાહી કરવા ન માંગતા હોઈ બન્ને લાશ પરિવારજનોને સોંપવામાં આવી હતી.


