- કચ્છના માંડવીમાં ઝાડા-ઉલટીના કેસો વધ્યાં
- કેસ વધતા માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું
- માંડવી મામલતદારની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂક
કચ્છના માંડવીમાં ઝાડા-ઉલટીના કેસોમાં સતત વધારો નોંધાયો છે. માંડવી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અઠવાડિયામાં અનેક વ્યક્તિઓને ઝાડા-ઉલટીના કેસ વધતા માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે. 25 જુલાઈ સુધી સમગ્ર વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે. ખાસ કરીને સલાયા,મસ્કા ઓક્ટ્રોય વિસ્તાર ભયગ્રસ્ત છે. માંડવી મામલતદારની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે.
માંડવીમાં 15 દિવસથી ઝાડા-ઊલ્ટીના કેસોમાં આવેલા ઉછાળા અંગે હરકતમાં આવેલી પાલિકા દ્વારા ખાણીપીણીની લારી સહિત ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા લોકોને સ્વચ્છતા રાખવા માટે લાઉડ સ્પીકર દ્વારા તાકીદ કરી છે. પાલિકા દ્વારા પાણી ફિલ્ટર કર્યા વગર શહેરમાં વિતરણ કરાતાં હોવાથી અશુદ્વ પાણી, તો ક્યાંક ગટર મિશ્રિત પાણી વિતરીત કરાતું હોવાથી એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટીના કેસોમાં દિવસેને દિવસે વધારો થયો છે.
ઝાડા-ઊલ્ટીના કેસ અને કોલેરાના કહેરને અટકાવવા માટે શહેરમાં સફાઇ ઝુંબેશને અગત્ય આપીને ડીડીટી અને ફોગિંગ મશીન દ્વારા દવાનો છટકાવ કરવા, પાણીપુરી, શેરડીના સંચા, ગોલા-ગુલ્ફી, ચાની હોટેલ વગેરે ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા તમામ વેપારીઓ અને હાથલારી ધારકોને સ્વચ્છતા રાખવા પાલિકાની ટીમ દ્વારા બેદરકારી રાખતા સામે દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


