- કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલાએ CMને લખ્યો પત્ર
- ચાંદીપુરા વાઈરસને અટકાવવા પગલાં લેવા કરી રજૂઆત
- શહેરોમાં ચાંદીપુરા વાયરસથી નાગરિકો ભયભીત
રાજ્યમાં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે, અત્યાર સુધી આ વાયરસે કેટલાય નાના બાળકોનો ભોગ લીધો છે અને આ વાયરસને લઈને સમગ્ર રાજ્યના જિલ્લાના અને શહેરના નાગરિકો ભયભીત જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં ચાંદીપુરાના 30થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.
કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલાએ CMને લખ્યો પત્ર
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસોને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ચાંદીપુરા વાયરસને કોઈ પણ રીતે અટકાવવા માટે જરૂરી પગલા લેવા માટે રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના નાગરિકો ચાંદીપુરા વાયરસથી ભયભીત છે. આ વાયરસના કારણે ઘણા નાના બાળકોના મોત થયા છે. ત્યારે વાયરસના ચેપને અટકાવવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસ 9 મહિનાથી લઈને 14 વર્ષના બાળકમાં સૌથી વધારે જોવા મળે છે.
મુખ્યપ્રધાને કરી બેઠકો, આપ્યા આદેશ
ત્યારે આ વાયરસને ગંભીરતાથી લઈને રાજ્ય સરકાર પણ સર્તક જોવા મળી રહી છે. મુખ્યપ્રધાને અલગ અલગ બેઠકો કરીને વાયરસને અટકાવવા માટે જરૂરી પગલાઓ લેવા માટે પણ અધિકારીઓને સૂચના આપી છે અને આરોગ્ય વિભાગ દ્વારા પણ જ્યાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો હોય તે વિસ્તારમાં દવાનો છંટકાવ ચાલુ કરી દીધો છે.
અમદાવાદમાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો
અમદાવાદ વિસ્તારમાં રહેતા બાળકનો ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. પોઝિટિવ રિપોર્ટ ધરાવતો બાળક સાબરમતી વિસ્તારનો છે અને તેને સારવાર માટે SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 7 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કૂલ 3 નેગેટિવ અને 1 પોઝિટિવ તથા 3 કેસના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. બે દિવસ પહેલા જ સરદારનગર વિસ્તારની 11 વર્ષની બાળકીનું મોત થયું હતું, જેનો રિપોર્ટ આવવાનો હજુ પણ બાકી છે.
રાજકોટમાં પણ વધુ એક કેસ આવ્યો સામે
રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં સાત માસના બાળકમાં લક્ષણો દેખાયા છે. તેમજ ગોંડલના અનિડા ગામથી બાળકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બાળકનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું ઠછે. બાળકનો પરિવાર એક માસ પહેલા મધ્યપ્રદેશથી અનિડા વસવાટ માટે અને ખેત મજૂરી કામ માટે પરિવાર અનિડા ગામે આવ્યો હતો. બાળકના સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે.


