- વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
- લોકોને નદી કિનારે ન જવા કરાઈ અપીલ
- વધુ વરસાદ પડે તો શાળા-કોલેજ બંધ રાખવા સૂચના
વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ વલસાડ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યુ છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે તંત્ર તમામ તૈયારીઓ સાથે સજ્જ જોવા મળ્યુ છે.
તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ
જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે, ત્યારે જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર સતત નદીઓની સપાટી ઉપર નજર રાખી રહ્યું છે અને લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહીને લઈ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
વધુ વરસાદ પડે તો શાળા-કોલેજ બંધ રાખવા સૂચના
ત્યારે લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં જો વધુ વરસાદ વર્ષે તો બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને શાળા કોલેજો બંધ રાખવામાં પણ સૂચનો આપવામાં આવ્યા છે.
સુરતના પલસાણામાં છેલ્લા 2 દિવસમાં 250 લોકોનું સ્થળાંતર
સુરતના પલસાણામાં વરસાદથી હાલાકી પડી રહી છે. છેલ્લા 2 દિવસમાં 250 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે, ત્યારે પલસાણા તાલુકામાંથી 112 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. આજે બલેશ્વરમાંથી 60 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે અને લીંગડ ગામે 16 વ્યકિતઓને ખસેડાયા છે. આ સાથે જ 250 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
વરસાદના કારણે પાણીની ભરપૂર આવક
વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે અને સરદાર સરોવર ડેમ 54 ટકા જેટલો ભરાયો છે. ત્યારે રાજ્યમાં 206 ડેમમાંથી 46 ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે 51 ડેમ હાઈ એલર્ટ પર છે તેવી જાણકારી રાહત કમિશનરે આપી છે. ત્યારે રાજ્યમાં 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે અને છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે.


