- રોશની ગુમાવનારા દર્દીઓએ રાજ્ય સરકારનો દ્વાર ખટખટાવ્યો
- 10-10 લાખનું વળતર ચુકવવાની રજુઆત કરાઈ
- ન્યાય નહીં મળે તો પાટનગર સુધી ન્યાયયાત્રા યોજવાની ચીમકી
રાજ્યમાં છ સાત મહિનાઓ અગાઉ અમરેલી, રાધનપુર, પાટણ અને અમદાવાદ ગ્રામ્યની માંડલ સહિતની આંખની હોસ્પિટલમાં અંધાપાકાંડના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકા મથક ઉપર એક ટ્રસ્ટ સંચાલિત ચાલી રહેલી આંખની હોસ્પિટલમાં અંધાપાકાંડ સર્જાયો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં પીડિતોને વળતર ચુકવવા માટેની રજુઆત
આ અંધાપાકાંડને 7 મહિના થવા છતાં હજુ રાજ્ય સરકારનું પીડિતોને ન્યાય માટેનું કોઈ સ્પષ્ટ વલણ સામે આવ્યું નથી, ત્યારે આજે 29 જુલાઈના રોજ નવસર્જન ટ્રસ્ટ અને માંડલ અંધાપાકાંડ લડત સમિતિ દ્વારા ગાંધીનગર પહોંચી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં પીડિતોને વળતર ચુકવવા માટેની રજુઆત કરાઈ હતી.
આ મામલે હાઈકોર્ટે પણ સુઓમોટો લીધી હતી
તમને જણાવી દઈએ કે 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીઓના આંખના મોતીયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને આંખમાં ઝાંખપ આવી ગયેલી, ઓછું દેખાવવા સહિતની ફરિયાદને પગલે અંધાપાકાંડનો મામલો બહાર આવ્યો હતો, જેને પરિણામે જિલ્લા આરોગ્ય તંત્રથી લઈ સિવિલ હોસ્પિટલની અને રાજ્ય સરકારની એક્સપર્ટ કમિટિઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને આ મામલે હાઈકોર્ટે પણ સુઓમોટો લીધી હતી.
પીડિતોને 10-10 લાખની સહાય ચુકવવાની રજૂઆત
માંડલ અંધાપાકાંડના ભોગ બનનાર દર્દીઓને ન્યાય ચુકવવાની માંગ સાથે નવસર્જન ટ્રસ્ટના પ્રતિનિધિ કિરિટભાઈ રાઠોડ, કનુભાઈ સુમેસરા તેમજ કિશન સેંધવ અને દર્દીઓ,પરિવારજનો આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને પીડિતોને ન્યાય આપો, આરોગ્યમંત્રી અને મુખ્યમંત્રી પોતાનું મૌન તોડે, 10 લાખની સહાય ચુકવો તેવા સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પીડિતોએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સંબોધીને લેખિતમાં રજુઆત કરી હતી.
લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર પીડિતોને 10-10 લાખની સહાય ચુકવવા, પીડિત પરિવારોના જીવન નિર્વાહ માટે 10-10 હજારનું પેન્શન ચુકવો, આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને યોગ્ય ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે જેવા મુદ્દાઓની રજુઆત કરવામાં આવી હતી અને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી ન્યાયયાત્રા યોજવા માટેની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી.


