- નિષ્ઠા, સાતત્ય અને શ્રદ્ધાપૂર્વક આદ્યશક્તિના કોઈ પણ રૂપની ઉપાસના કરાય તો શક્તિનાં તે આરાધ્ય-રૂપનાં આ ચર્મચક્ષુ દ્વારા પ્રત્યક્ષ દર્શન કરી શકાય છે
અષાઢ વદ અમાસના દિવસે એવરત-જીવરત વ્રત કરવામાં આવે છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું. રાત્રે જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો.
એવરત-જીવરતની કથા
એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે. ગોર-ગોરાણી બધી વાતે સુખી, પણ નિઃસંતાનપણાનું દુ:ખ આ દંપતીને સાલતું હતું. સંસારનાં મહેણાંટોણાં સહન થતાં નહીં.
આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી. ભોળાનાથ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં. તેનો સર્વાંગી ઉછેર કરજે, પણ લગ્નના બંધનમાં નાખીશ નહીં.
શિવજી `તથાસ્તુ’ કહી ચાલ્યા ગયા. બ્રાહ્મણ પ્રસન્ન વદને ઘેર આવ્યો. પોતાની પત્નીને વાત કરી. પત્નીના હર્ષનો તો પાર ન હતો. સમય જતાં પુત્રરત્નનો જન્મ થયો પુત્ર ઘણો રૂપાળો હતો. પુત્રનું લાલનપાલન, ઉછેર, ભણતર વગેરે માટે માતા-પિતાએ ખૂબ જ કાળજી રાખી.
આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજી સાથે કરેલ શરતનો ભંગ કર્યો. આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા, શ્રીહરિ સાથે છેતરપિંડી કરી. દીકરો પરણીને ઘેર આવ્યો. એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું, વાદળાંઓનો ગડગડાટ અને વીજળીનો ચમકાર થવા લાગ્યો. બારે મેઘ ખાંગા થયા. જાન ઘેર આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ. સર્વત્ર પાણી પાણી, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર!
એકાએક એક ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો. વરરાજાનું પ્રાણપંખેરું ઊંડી ગયું. આનંદમંગલ હતાં ત્યાં રાડારોળ થઈ રહ્યું.
પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયા. તે જોઈ આશાભરી નવપરિણીતા બોલી, “ગામમાં જેને જવું હોય તે જાઓ, હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ. જ્યાં તે ત્યાં હું. મારો સંસાર અહીં છે, મારું સ્વર્ગ મારા પતિ જ છે. હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ.”
ગામના આગેવાનોએ નવવધુને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તે એકની બે ન થઈ. કોઈ તેને દૃઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં.
ભયંકર ઘોર અંધારી રાત જામી. વીજળીના ઝબકારામાં દૂર એક મંદિરની ઘજા ફરકતી જોઈ. પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને બારણાં બંધ કરી અંદર બેઠી.
મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વીજળી વીફરેલી નાગણની જેમ આકાશમાં ચમકી રહી છે. પવન સુસવાટા મારી રહ્યો છે. ચોતરફ મેઘનું તાંડવ મચ્યું છે. આ સમયે મંદિરના પ્રાંગણમાં `એવરત’ મા આવી પહોંચ્યાં. બારણે ટકોરા માર્યા. નવવધૂએ મંદિરનું બારણું ઉઘાડ્યું. દેવીનાં દર્શન કરી પરિણીતાએ પોતાની કથની રડતાં હૃદયે કહી સંભળાવી. દેવીએ `એવરત’મા છું એમ કહી પોતાની ઓળખાણ આપી. પરિણીતા સ્ત્રીઓ માટે એવરત વ્રત છે. જોકે, દરેક વ્રત સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે છે, પણ પતિના દીર્ઘાયુ માટે એવરત અત્યુત્તમ છે. તારે અષાઢ વદ અમાસના દિવસે ઉપવાસ કે એકટાણું કરીને આદ્યશક્તિ એવરતનું પૂજન કરવું. રાત્રે જાગરણ કરવું અને ઘીનો અખંડ દીવો પ્રગટાવી કથા-કીર્તન કરવાં.
નવ પરિણીતાએ બે કર જોડી એવરત કરવા સંકલ્પ કર્યો. મા એવરત તો મૃતદેહ પર અમીદૃષ્ટિ કરી અંતર્ધાન થઈ ગયાં. પતિના શરીરમાં નવું ચેતન આવ્યું, નવી શક્તિ આવી, નવો જીવ આવ્યો, પણ આંખ ઉઘાડે નહીં.
એવરતમાનાં ગયાં પછી જીવરતમાએ મંદિરમાં પ્રવેશ કર્યો. નવવધુએ માને પ્રણામ કર્યાં. માએ પોતાની ઓળખાણ આપતાં કહ્યું, તારા પતિને એવરતમાએ નવજીવન આપ્યું છે, પરંતુ તારે હજુ એક બીજું વ્રત કરવાનું છે. `જીવરત’ કરવાથી સંતાન જીવતાં રહે છે. આ વ્રતની વિધિ એવરતની વિધિ પ્રમાણે જ કરવી.
નવવધુએ પ્રણામ કરી કહ્યું. `હે જગદંબા! હું આપનું વ્રત જરૂર કરીશ.’ જીવરતમા અંતર્ધાન થયાં પછી નવવધુનો પતિ આળસ મરડીને બેઠો થયો. પતિ-પત્ની ઘેર આવ્યાં. કુટુંબીવર્ગે વહુને પતિભક્તિ માટે અભિનંદન આપ્યાં. સૌએ શુભ આશીર્વાદ આપ્યા.
નવવધૂ તો જયા-પાર્વતી, એવરત-જીવરત વગેરે વ્રતો પતિ પરાયણ રહીને પતિની સંમતિથી કરવા લાગ્યાં. સમય જતાં વ્રત ફળ્યાં અને ઘેર પારણું બંધાયું. આ નવવધૂની માફક જે કોઈ વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે. માટે જયા-પાર્વતી, એવરત-જીવરત, જીવંતિકા વગેરે વ્રતોનો મહિમા વિશેષ છે.
નિષ્ઠા, સાતત્ય અને શ્રદ્ધાપૂર્વક આદ્યશક્તિના કોઈ પણ રૂપની ઉપાસના કરાય તો શક્તિનાં તે આરાધ્ય-રૂપનાં આ ચર્મચક્ષુ દ્વારા પ્રત્યક્ષ દર્શન કરી શકાય છે. અલબત્ત, તે માટે વ્રતકર્તાની સાધના, આરાધના અને ઉપાસનામાં તેમજ પુરુષાર્થમાં પર્યાપ્ત બળ જોઈએ. જો દૈવી શક્તિની ઉપાસનામાં પૂરતું બળ હોય તો વ્રતકર્તા માટે મા જગદંબાનાં દર્શન તથા તેમનો સાક્ષાત્કાર શક્ય બને છે.
મહાશક્તિરૂપ મા જગદંબા સર્વત્ર વિદ્યમાન છે. જે બળહીન છે તે પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી. મા જગદંબા જ બળ અને શક્તિનો આદી સ્ત્રોત છે. શક્તિની પૂજા જ `સર્વવ્યાપી મા’ની પૂજા છે. જ્યાં સુધી આપણામાં `મા’ને ઓળખવાની અને પામવાની સાચી તમન્ના નથી, લગની નથી, ત્યાં સુધી એ જગત્માતાનાં દર્શન કે તેમનું પ્રત્યક્ષીકરણ આપણા માટે અશક્ય છે. `મા’ના ઉચ્ચાર સાથે જ સાધક મૂળ કેન્દ્રમાં પહોંચી જાય છે. જીવરૂપી નદી `મા’રૂપી અમૃતસાગરમાં મળીને પૂર્ણ એકરૂપ થઈ જાય છે. `મા’ તો નિત્ય મમતામયી છે, તે અભયા રૂપ છે. `મા’ તો આપણા અંતઃકરણમાં જ બેઠી છે. તેનાં દર્શન કરવાં હોય તો આત્મા પરનું અજ્ઞાત આવરણ દૂર કરી દો, એટલે જ્યોતિર્મયી `મા’ જરૂર દર્શન દઈ કૃતાર્થ કરશે.