બ્લેકમેલિંગમાં માહિર કથિત પત્રકારો પર ક્રાઈમ બ્રાન્ચનો વધુ એક પ્રહાર
ન્યૂઝના નામે ખંડણી માંગનાર અમિત ઠક્કર સહિત 3 ફરી પાંજરે પુરાયા
ક્લિનિકનું બાંધકામ ગેરકાયદે છે તેવું કહી બદનામ કરવાની ધમકી આપી 3 લાખની ખંડણી મંગાઈ
ભારત હેડલાઇન્સ, રાજકોટ લાઇવ ન્યૂઝ ના સંચાલકો સામે કાયદાનો ગાળિયો કસાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કથિત પત્રકારો દ્વારા ન્યૂઝ અને સોશિયલ મીડિયાના નામે લોકોને બ્લેકમેલ કરી ખંડણી ઉઘરાવવાનો ગોરખધંધો ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે હવે એક મોટો કિસ્સો બહાર આવ્યો છે. શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિએ પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ભારત હેડલાઈન નામના અખબારના સંચાલક અમિત ઠક્કર, રાજકોટ લાઈવ ન્યૂઝના સંચાલક ભાર્ગવ આચાર્ય અને રૂપિયા લેવા માટે ગયેલા યોગીરાજ રાઠોડ સહિત ત્રણ શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં કહેવાતા કેટલાક પત્રકારો દ્વારા લોકોની નબળાઈ શોધી તેમને ન્યૂઝમાં બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી હતી. બાંધકામ, રાજકીય સંબંધો, સરકારી કોન્ટ્રાક્ટ તેમજ વ્યક્તિગત બાબતોને આધારે લોકોને ટાર્ગેટ કરી ન્યૂઝ પ્રકાશિત કરવાની ધમકી અપાઈ રહી હોવાના આક્ષેપો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. ઉચ્ચ કક્ષાએથી આ મામલે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ મળતા રાજકોટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આવી પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ શરૂ કરી હતી.
તે દરમિયાન શહેરના બાલમુકુંદ પ્લોટ વિસ્તારમાં રહેતા અને જીટીપીએલ કેબલ કનેક્શનનો વ્યવસાય કરતા વિજયભાઈ માધવજીભાઈ પાડલીયા પોલીસ સમક્ષ પહોંચ્યા હતા. તેમણે લેખિતમાં રજૂઆત કરી હતી કે તેમની પુત્રીનું યુનિવર્સિટી રોડ પર આવેલ દાંતનું દવાખાનું નિશાન બનાવી કેટલાક લોકો દ્વારા વારંવાર ખોટા અને ભ્રામક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. ફરિયાદ મુજબ દવાખાનાનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું દર્શાવી તેમની પરિવારની રાજકીય છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે, “અમારી પુત્રીનું દવાખાનું કાયદેસર રીતે આવેલ છે અને આજુબાજુના લોકોને પણ કોઈ તકલીફ નથી. તેમ છતાં માત્ર પૈસા પડાવવાના ઈરાદાથી અમારા પરિવારનું નામ ઉછાળી અને રાજકીય રીતે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.” વિજયભાઈએ વધુમાં દાવો કર્યો હતો કે ન્યૂઝ પ્રકાશિત ન કરવા માટે તેમના સુધી મળતિયાઓ મારફતે ફોન કરવામાં આવતા અને ચોક્કસ રકમની માંગણી કરવામાં આવતી હતી.
ફરિયાદ અનુસાર જ્યારે પૈસા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારબાદ તેમના પરિવાર વિરુદ્ધ સતત ખોટા, ઉપજાવી કાઢેલા અને તથ્યવિહોણા સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝ પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવતા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ વારંવાર હેડલાઈન બનાવી પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
ફરિયાદમાં કથિત રીતે એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો માત્ર ખંડણી અને દબાણ માટે જ પ્રાઈવેટ ન્યૂઝ ચેનલો ચલાવી રહ્યા છે. સામાન્ય જનતાને ઉપયોગી બને તેવા સમાચાર આપવાના બદલે જ્યાંથી પૈસા મળી શકે તેવા મુદ્દાઓ ભેગા કરવામાં આવે છે અને પછી સંબંધી વ્યક્તિઓને ફોન કરી સેટિંગ માટે દબાણ કરવામાં આવે છે. જો પૈસા ન આપવામાં આવે તો સોશિયલ મીડિયા અને ન્યૂઝ પ્લેટફોર્મ પર સતત નકારાત્મક સમાચાર ચલાવવામાં આવે છે.
આ ગંભીર આક્ષેપોને ધ્યાને લઈ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ ગોંડલિયા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ફરિયાદમાં દર્શાવાયેલા મુદ્દાઓ અને ઉપલબ્ધ પુરાવાના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે કાર્યવાહી કરીને ભારત હેડલાઈનના સંચાલક અમિત ઠક્કર, રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવ આચાર્ય તેમજ રૂપિયા લેવા માટે ગયેલા યોગીરાજ રાઠોડને ઝડપી લીધા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે આ કેસમાં ખંડણી, ધમકી, બદનામી તેમજ આઈટી એક્ટ હેઠળની વિવિધ કલમો લાગુ કરવાની દિશામાં તપાસ આગળ ધપાવી છે. પોલીસને શંકા છે કે આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલાક લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે. પોલીસ હવે મોબાઈલ કોલ ડિટેઈલ, સોશિયલ મીડિયા પોસ્ટ, નાણાકીય વ્યવહારો અને અગાઉ થયેલી ફરિયાદોની પણ તપાસ કરી રહી છે.
આ સમગ્ર ઘટનાએ રાજકોટમાં મીડિયા જગતમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. સાચા પત્રકારત્વની આડમાં કેટલાક લોકો દ્વારા વ્યક્તિગત સ્વાર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓને કારણે સમગ્ર પત્રકાર સમાજની છબી ખરડાઈ રહી હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ છે. ઘણા લોકોનું માનવું છે કે આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે જેથી મીડિયા પરનો લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.
ફરિયાદી વિજયભાઈ પાડલીયાએ પોલીસ સમક્ષ એવી પણ રજૂઆત કરી હતી કે જો આ કેસમાં ખુલ્લી અને કડક કાર્યવાહી કરવામાં આવશે તો તેમના જેવા અન્ય અનેક પીડિત લોકો પણ આગળ આવશે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટમાં કથિત પીળું પત્રકારત્વ ચલાવી લોકોને દબાણમાં લઈ ખંડણી ઉઘરાવવાના આક્ષેપો વચ્ચે થયેલી આ કાર્યવાહી હવે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
નામચીન ડોક્ટર પાસેથી લાખોની ખંડણી માંગવાના કેસમાં અમિત ઠક્કર સહિત 10 સામે અગાઉ નોંધાયો હતો ગુનો
રાજકોટ શહેરમાં કથિત પત્રકારો દ્વારા બ્લેકમેલિંગ અને ખંડણી ઉઘરાવવાના મામલાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. સાધુ ઓસવાણી રોડ ઉપર ક્લિનિક ધરાવતા એક નામચીન ડોક્ટરનો વિવાદિત વિડીયો હાથ લાગી જતા અનેક કથિત પત્રકારોએ ડોક્ટરને બદનામ કરવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માંગ્યાનો ગંભીર આક્ષેપ થયો હતો. આ સમગ્ર મામલે અગાઉ ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ભારત હેડલાઈનના સંચાલક અમિત ઠક્કર સહિત કુલ 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ડોક્ટરનો ખાનગી અને વિવાદિત ગણાતો વિડીયો કેટલાક લોકોના હાથમાં આવી ગયો હતો. બાદમાં આ વિડીયોને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ પ્લેટફોર્મ પર વાયરલ કરવાની ધમકી આપી ડોક્ટર પાસે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ડોક્ટરે પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસ સમક્ષ કેટલાક ઓડિયો, મેસેજ અને અન્ય ટેક્નિકલ પુરાવા પણ આવ્યા હોવાનું કહેવાય છે.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને ભારત હેડલાઈનના અમિત ઠક્કર સહિત 10 લોકો સામે ખંડણી, ધમકી, આઈટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. કેસ નોંધાયા બાદ અમિત ઠક્કર આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થયા હતા, જ્યાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલ પણ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા મોબાઈલ ડેટા, સોશિયલ મીડિયા કનેક્શન અને નાણાકીય વ્યવહારોની પણ ચકાસણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં પત્રકારત્વની આડમાં ચાલી રહેલી કથિત બ્લેકમેલિંગ પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી હવે વધુ તેજ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બિલ્ડર લોબી પણ ‘પીળા પત્રકારત્વ’થી ત્રાસી પોલીસ સુધી પહોંચી હતી
રાજકોટમાં કથિત પીળું પત્રકારત્વ ચલાવતા કેટલાક લોકો સામે નવા નવા આક્ષેપો સામે આવી રહ્યા છે. ભારત હેડલાઈનના અમિત ઠક્કર સહિતના કેટલાક કથિત પત્રકારોએ બિલ્ડર લોબીને પણ નિશાન બનાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બિલ્ડરોના પ્રોજેક્ટ અંગે સાચા-ખોટા અહેવાલો તૈયાર કરી ન્યૂઝ અને સોશિયલ મીડિયા મારફતે બદનામ કરવાની ધમકી આપી લાખોની ખંડણી માંગવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના અનેક બિલ્ડરોને તેમના બાંધકામ પ્રોજેક્ટ, મંજૂરીઓ અને અન્ય ટેકનિકલ મુદ્દાઓને આધારે ટાર્ગેટ કરવામાં આવતા હતા. કેટલાક કિસ્સાઓમાં પ્રોજેક્ટ વિરુદ્ધ નકારાત્મક સમાચાર પ્રકાશિત કરવાની ધમકી આપી સેટિંગ માટે દબાણ કરવામાં આવતું હોવાની ચર્ચા છે. જેના કારણે બિલ્ડર લોબીમાં ભારે રોષ ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કહેવાય છે કે આ મામલે ત્રસ્ત બનેલા કેટલાક બિલ્ડરોએ પોલીસ કમિશનર તેમજ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતમાં આવા કથિત પત્રકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલ શહેરમાં કથિત બ્લેકમેલિંગ અને ખંડણીકાંડને લઈને પોલીસ વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.
અમિત ઠક્કર સામે નવાગામના ગરીબ પરિવારનું મકાન પડાવડાવ્યાના આક્ષેપ સાથેનો વિડીયો થયો હતો વાયરલ
રાજકોટમાં ભારત હેડલાઈનના સંચાલક અમિત ઠક્કર સામે વિવાદોનો સિલસિલો સતત વધી રહ્યો છે. અગાઉ નવાગામ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ગરીબ અને લાચાર પરિવારને લઈને થયેલા આક્ષેપો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં અમિત ઠક્કર પર સરકારી તંત્રના કેટલાક અધિકારીઓ સાથે મિલીભગત કરી ગરીબ પરિવારનું મકાન પડાવી નાખવામાં ભૂમિકા ભજવવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વાયરલ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવાગામ વિસ્તારમાં રહેતા આર્થિક રીતે નબળા પરિવારે વર્ષોથી વસવાટ કરતું મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને તેમાં કેટલાક પ્રભાવશાળી લોકોની દખલગીરી રહી હતી. આ સમગ્ર મામલે અમિત ઠક્કરનું નામ વીડિયોમાં ખુદ મકાન ધારક જણાવી રહ્યો છે. જે બાબતથી ભારે ચર્ચા જાગી હતી.
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. ખાસ કરીને ગરીબ પરિવાર સામે દાદાગીરી અને દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે આ મામલે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.


