રાગ આસક્તિ છે. આસક્તિ જ્યારે વધે છે ત્યારે તે મોહનું રૂપ ધારણ કરી લે છે. મોહ એ બંધન છે, તે આપણને વ્યક્તિ, સ્થાન વગેરેની સાથે બાંધી દે છે. તેનાથી અહિતની આશંકા જન્મ લે છે. જેનાથી આપણને મોહ નથી. આ અંગે કોઈ દુશ્ચિંતા આપણા મનમાં પેદા થતી નથી. જેના તરફ આપણને મોહ છે તેના અહિતની ચિંતા વારંવાર આપણા મનમાં જાગ્રત થતી રહે છે. આપણને પડોશીનો કોઈ મોહ નથી હોતો, પરંતુ પોતાના પુત્ર કે સ્વજનોનો મોહ જરૂર હોય છે. દુશ્ચિંતા થવા ન થવામાં કારણભૂત પુત્ર નથી કે પડોશી પણ નથી, તેનું એકમાત્ર કારણ છે આપણો મોહ.
મોહ અવિદ્યાથી પેદા થાય છે. અવિદ્યાની ત્રણ શક્તિઓ છે : મલ, વિક્ષેપ અને આવરણ. મલમાં મલિન સંસ્કારજન્ય દોષ આવે છે. વિક્ષેપ ચિત્તમાં ચંચળતાને જન્મ આપે છે, જ્યારે આવરણથી આત્મવિસ્મૃતિ પેદા થાય છે. અવિદ્યાની આ ત્રણેય શક્તિઓ મળીને વ્યક્તિને આત્માનું જ્ઞાન થવા દેતી નથી.
આત્મ-વિસ્મૃતિમાં ઉચિત કે અનુચિત, શુભ કે અશુભ, પાપ કે પુણ્ય વગેરેનો નિર્ણય કોણ કરશે? નિર્ણય કરનારો વિવેક તો વિસ્મૃતિથી આચ્છાદિત પડેલો છે. વિસ્મૃતિ હટે તો ખબર પડે કે હું કોણ છું. મારા માટે કઈ કરણીય છે અને કઈ અકરણીય છે આ જ આધ્યાત્મ છે. આધ્યાત્મવાદને રહસ્યવાદ એટલા માટે નથી કહેવાતો, કારણ કે તે સમજમાં આવતો નથી, પરંતુ એટલા માટે કહેવાય છે કે તે આ રહસ્ય પરથી પડદો હટાવે છે, જે અવિદ્યાના કારણે આપણને જોવા મળી રહ્યો નથી.
આપણે પ્રભુના અંશ છીએ તેનાથી આપણે વિસ્મૃત છીએ. વિસ્મૃતિ સમાપ્ત થઈ જાય તો તરત જ ખબર પડી જાય છે કે આપણે પ્રભુના અંશ છીએ. જો આપણે અંશ છીએ તો પૂર્ણ કોણ છે? ક્યાં છે? તેની સાથે જોડાવું ક્યાં સુધી શક્ય છે? આ તેનું નામ જ આત્મજ્ઞાન છે.
રહસ્યવાદ માટે અંગ્રેજીમાં `મિસ્ટસિઝમ’ શબ્દ છે. `મિસ્ટક’ની વ્યુત્પત્તિ યુનાની ભાષાના શબ્દ `મુસો’માંથી થઈ છે, જેનો અર્થ છે ઘાનાં બે પડોને જોડવું. જે રીતે ઘાના બંને પડોને જોડીને ટાંકા લેવાથી ઘા બરાબર ભરાઈ જાય છે તે જ રીતે પ્રભુના અંશ તથા પ્રભુના પડને જોડી દેવાથી પૂર્ણ પ્રભુથી અંશનો છૂટો પડેલો ઘા ભરાઈ જાય છે અને વિયોગની પીડાનો અંત આવી જાય છે. પીડા ઘામાં નથી, અનુભૂતિમાં હોય છે. ઘા લાગે ત્યારે લોહી વહી રહ્યું હોય છે, પરંતુ પીડાની અનુભૂતિ ન થઈ રહી હોય ત્યારે આપણને તે ઘાની પરવા હોતી નથી.
બીજી બાજુ આપણને સહેજમાત્ર ઘસરકો પડ્યો હોય, પરંતુ પીડાની અનુભૂતિ ખૂબ જ પ્રબળ હોય તો આપણે તરત જ તેના રૂઝવા માટેના પ્રયત્નો આરંભી દઈશું. એ જ રીતે આપણને જો આપણા આત્માના મૂળથી અલગતાની અનુભૂતિ ન હોય તો આપણને આત્માની પરવા હોતી નથી, પરંતુ જેમ કોઈને તેની પીડાનો અહેસાસ છે, તેની વેદનાની અનુભૂતિ થાય ત્યારે તે વેદનામાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન જરૂર કરશે.
આ પંચભૂતથી બનેલા શરીરનો સંબંધ બહારનાં પાંચે તત્ત્વોની સાથે સદા સર્વદા બની રહે છે, કેમ કે આ શરીર ગરમ-ઠંડીનો અનુભવ કરે છે. ઠંડીમાં થથરે છે, ગરમીમાં આકુળ-વ્યાકુળ હોય છે. આ શરીર ઋતુઓથી પ્રભાવિત થાય છે. બદલાતી ઋતુ કેવળ શરીરને જ નહીં, મનને પણ પ્રભાવિત કરે છે. અવસાન પછી શરીર પંચતત્ત્વોમાં ભળી જાય છે. આપણે જો કોઈ અંદરના તત્ત્વનો સંબંધ બહારના તત્ત્વ સાથે જોડી રાખીએ નહીં, તે છે બિચારો આત્મા. આત્માની આ દયનીય દશાની અનુભૂતિ `આધ્યાત્મ’ છે તથા આત્માની મુક્તિ માટેનો પ્રયાસ એ `સાધના’ છે.


