34 વર્ષના વનવાસ પછી બંગાળમાં ખીલ્યું કમળ
સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી
વિદ્યાર્થી રાજકારણથી મુખ્યમંત્રી પદ સુધીની સુવેન્દુ અધિકારીની સફર ફરી ચર્ચામાં ; શપથ બાદ સુવેન્દુ અધિકારીએ PM મોદીને નમીને કર્યા પ્રણામ
દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ સહિત 5 મંત્રીઓએ પણ બાંગ્લા ભાષામાં લીધા શપથ ;
મોદીના રોડ શોમાં ઉમટ્યો જનસાગર, શપથવિધિમાં NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રહ્યા હાજર
અગ્ર ગુજરાત, કોલકત્તા
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં શનિવારનો દિવસ ઐતિહાસિક બની ગયો. વર્ષો સુધી ડાબેરીઓ અને ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાતા બંગાળમાં હવે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી છે. આ રાજકીય પરિવર્તનના કેન્દ્રમાં રહ્યા સુવેન્દુ અધિકારી, જેમણે પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
કોલકાતામાં યોજાયેલા ભવ્ય શપથવિધિ સમારોહમાં બંગાળની રાજનીતિએ જાણે નવો વળાંક લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યપાલ રવિએ સુવેન્દુ અધિકારી સહિત છ નેતાઓને મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા. તમામે બાંગ્લા ભાષામાં ઈશ્વરના નામે શપથ લીધા હતા. સુવેન્દુએ શપથ લીધા બાદ સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જઈ નમીને પ્રણામ કર્યા હતા. આ દ્રશ્ય સમગ્ર કાર્યક્રમનું સૌથી ચર્ચિત પળોમાંનું એક બની ગયું. મંચ પર હાજર હજારો કાર્યકર્તાઓએ જય શ્રીરામ અને ભારત માતા કી જય ના નારા સાથે વાતાવરણ ગુંજાવી દીધું હતું. આ ઐતિહાસિક સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. શપથવિધિ પહેલા વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં લાખો લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમ સ્થળે પહોંચ્યા બાદ મોદીએ સૌપ્રથમ રવીન્દ્રનાથ ટાગોર ને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ એક ખાસ ક્ષણે વડાપ્રધાન સીધા 98 વર્ષીય ભાજપ કાર્યકર્તા માખનલાલ સરકાર પાસે પહોંચ્યા, તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમના ચરણસ્પર્શ કર્યા. આ દ્રશ્યે કાર્યક્રમમાં ભાવનાત્મક માહોલ ઊભો કર્યો હતો.
બંગાળમાં ભાજપની જીત માત્ર સત્તા પરિવર્તન પૂરતી નથી, પરંતુ રાજ્યની લાંબા સમયથી ચાલતી રાજકીય સંસ્કૃતિમાં આવેલા મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે. વર્ષો સુધી ભાજપ અહીં મુખ્ય વિરોધ પક્ષ તરીકે સંઘર્ષ કરી રહ્યું હતું. પરંતુ 2026ની ચૂંટણીમાં પાર્ટીએ અણધારી સફળતા મેળવીને તૃણમૂલ કોંગ્રેસને સત્તાથી દૂર કરી દીધી.
આ સમગ્ર રાજકીય સફરમાં સૌથી મહત્વપૂર્ણ ચહેરો રહ્યા સુવેન્દુ અધિકારી. પૂર્વ મેદિનીપુરના કાંથી વિસ્તારમાંથી આવતા સુવેન્દુએ વિદ્યાર્થી રાજકારણથી પોતાની સફર શરૂ કરી હતી. બાળપણથી જ તેઓ ધાર્મિક વલણ ધરાવતા હતા. પરિવારજનોને એક સમય એવો પણ લાગતો હતો કે સુવેન્દુ સંન્યાસી બની જશે. તેઓ દર શનિવારે રામકૃષ્ણ મિશનમાં જતા અને ઘરમાં રહેલા સિક્કા પણ દાનમાં આપી આવતા હતા.
પરંતુ સમય જતાં તેમણે સામાજિક અને રાજકીય જીવન પસંદ કર્યું. 80ના દાયકાના અંતમાં વિદ્યાર્થી રાજનીતિથી શરૂઆત કરીને તેઓ ધીમે ધીમે પૂર્વ મેદિનીપુરમાં મજબૂત રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યા. એક સમયે તૃણમૂલ કોંગ્રેસના મહત્વપૂર્ણ ચહેરા રહેલા સુવેન્દુએ બાદમાં ભાજપમાં જોડાઈ બંગાળની રાજનીતિમાં મોટો ભૂકંપ સર્જ્યો હતો.
શપથવિધિ દરમિયાન અન્ય પાંચ નેતાઓએ પણ મંત્રીપદના શપથ લીધા. જેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કિર્તનીયા, ખુદીરામ ટૂડૂ, અને નિશીથ પ્રમાણિકનો સમાવેશ થાય છે.
દિલીપ ઘોષ બંગાળ ભાજપનું સૌથી આક્રમક અને લોકપ્રિય ચહેરો માનવામાં આવે છે. તેઓ અગાઉ પ્રદેશ પ્રમુખ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ રહી ચૂક્યા છે. તેમની સંગઠનક્ષમતા અને કાર્યકર્તાઓમાં મજબૂત પકડ ભાજપની જીતમાં મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. અગ્નિમિત્રા પોલે પણ બંગાળની મહિલા રાજનીતિમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આસનસોલ દક્ષિણ બેઠક પરથી સતત બીજીવાર જીત મેળવી તેઓ ભાજપની મજબૂત મહિલા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. મતુઆ સમુદાયમાંથી આવતા અશોક કીર્તનિયાની કેબિનેટમાં એન્ટ્રી સામાજિક સમીકરણોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જ્યારે આદિવાસી વિસ્તારોમાં લાંબા સમયથી સક્રિય રહેલા ખુદીરામ ટુડુને મંત્રીપદ આપીને ભાજપે ટ્રાઈબલ સમુદાયને પણ મજબૂત સંદેશ આપ્યો છે. નિશિથ પ્રામાણિક પહેલેથી જ કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ પણ તેમને રાજ્ય કેબિનેટમાં સ્થાન આપીને ભાજપે તેમના રાજકીય અનુભવો પર વિશ્વાસ દર્શાવ્યો છે.
બંગાળમાં ભાજપની આ જીત પાછળ અનેક રાજકીય કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં હિંસા, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સંગઠનાત્મક અસંતોષ જેવા મુદ્દાઓને ભાજપે આક્રમક રીતે ઉઠાવ્યા હતા. સાથે જ હિંદુ મતદારોનું ધ્રુવીકરણ અને કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રભાવ પણ ભાજપને ફાયદાકારક બન્યો હતો. રાજકીય વિશ્લેષકોના મત મુજબ, ભાજપે આ વખતે માત્ર ચૂંટણી પ્રચાર પર જ નહીં પરંતુ બૂથ સ્તર સુધી સંગઠન મજબૂત બનાવવામાં વિશેષ ધ્યાન આપ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાર્ટીએ પોતાની પહોંચ વધારી હતી.
સુવેન્દુ અધિકારી સામે હવે સૌથી મોટો પડકાર બંગાળમાં રાજકીય સ્થિરતા જાળવવાનો રહેશે. લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસના પ્રભાવ હેઠળ રહેલા રાજ્યમાં વહીવટી તંત્ર અને રાજકીય માહોલને નવી દિશા આપવી સરળ નહીં હોય. ઉપરાંત બંગાળી રાષ્ટ્રીય રાજનીતિ વચ્ચે સંતુલન જાળવવાનું પણ તેમના માટે મહત્વપૂર્ણ રહેશે. શપથવિધિ બાદ ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલકાતા સહિત અનેક શહેરોમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ ઢોલ-નગારા વગાડી મીઠાઈ વહેંચી હતી.
બંગાળની રાજનીતિમાં આ પરિવર્તન હવે માત્ર રાજ્ય પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તેની અસર રાષ્ટ્રીય રાજકારણ પર પણ જોવા મળી શકે છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ભાજપની વધતી શક્તિ માટે આ જીતને ઐતિહાસિક મીલનો પથ્થર માનવામાં આવી રહી છે.
કોણ છે સુવેન્દુ અધિકારી?
સુવેન્દુ અધિકારીનો જન્મ પૂર્વ મેદિનીપુર જિલ્લાના કોંતલી ગામમાં થયો હતો. વિદ્યાર્થી રાજકારણથી શરૂઆત કરનાર સુવેન્દુ લાંબા સમય સુધી તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા. બાદમાં ભાજપમાં જોડાઈ તેઓ બંગાળમાં પાર્ટીના સૌથી પ્રભાવશાળી નેતા બની ગયા. તેમની આક્રમક રાજકીય શૈલી અને મજબૂત સંગઠનક્ષમતાને કારણે ભાજપે રાજ્યમાં ઐતિહાસિક જીત મેળવી. બાળપણથી જ ધાર્મિક વલણ ધરાવતા સુવેન્દુ આજે બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બની રાજકીય ઇતિહાસ રચ્યો છે.
મોદીના રોડ શોમાં ઉમટી પડ્યું જનસાગર
શપથવિધિ પહેલા નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. કોલકાતાની સડકો પર લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોદી-મોદી અને જય શ્રીરામના નારાથી આખું શહેર ગુંજી ઉઠ્યું હતું. ભાજપ માટે આ રોડ શો માત્ર શક્તિ પ્રદર્શન નહીં પરંતુ બંગાળમાં પોતાની મજબૂત હાજરીનો સંદેશ પણ માનવામાં આવ્યો હતો. રોડ શો દરમિયાન સુરક્ષાની પણ કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
માખનલાલ સરકારના ચરણ સ્પર્શથી ભાવુક બન્યો માહોલ
શપથવિધિ દરમિયાન સૌથી ભાવુક ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે વડાપ્રધાન મોદીએ 98 વર્ષીય ભાજપ કાર્યકર્તા માખનલાલ સરકારનું સન્માન કર્યું. માખનલાલ 1952ના કાશ્મીર આંદોલનમાં શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જોડાયા હતા. મોદીએ તેમને શાલ ઓઢાડી ચરણસ્પર્શ કર્યા ત્યારે સમગ્ર કાર્યક્રમ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનાએ ભાજપના કાર્યકર્તા પ્રથમ સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.
ભાજપની જીત પાછળના 5 મોટા કારણો
બંગાળમાં ભાજપની જીત પાછળ અનેક પરિબળો જવાબદાર રહ્યા. હિંસા અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ, હિંદુ મતદારોનું ધ્રુવીકરણ, સંગઠનનું બૂથ લેવલ સુધી વિસ્તરણ, કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ અને સુવેન્દુ અધિકારી જેવા સ્થાનિક ચહેરાનો પ્રભાવ ભાજપ માટે નિર્ણાયક સાબિત થયા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપે આ વખતે નોંધપાત્ર પકડ બનાવી હતી.
નવા મંત્રિમંડળમાં સામાજિક સંતુલન પર ભાર
ભાજપે પોતાના પ્રથમ બંગાળ મંત્રિમંડળમાં વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. મતુઆ સમુદાયમાંથી અશોક કીર્તનિયા, આદિવાસી વિસ્તારના નેતા ખુદીરામ ટુડુ અને મહિલા ચહેરા તરીકે અગ્નિમિત્રા પોલને સ્થાન આપીને પાર્ટીએ રાજકીય અને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ માટે આ માત્ર સરકાર નહીં પરંતુ લાંબા ગાળાના રાજકીય વિસ્તરણની વ્યૂહરચના માનવામાં આવી રહી છે.


