મ્યાનમારના પશ્ચિમ વિસ્તારના એક ગામ પર સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા. આ હુમલો બુધવારે રામરી દ્વીપના ક્યોક ની માવ ગામમાં કરવામાં આવ્યો હતો. આ ટાપુ વંશીય અરાકાન આર્મીના નિયંત્રણ હેઠળ હતું. હુમલાના કારણે ઘણા ઘરોમાં આગ લાગી હતી, જેના કારણે સેંકડો ઘર બળીને રાખ થઈ ગયા હતા.
મ્યાનમાર સેના દ્વારા હુમલો
સ્થાનિક અધિકારીઓ અને એક ચેરિટી સંસ્થાના જણાવ્યા અનુસાર, આ હુમલો મ્યાનમારની સેના દ્વારા કરવામાં આવ્યો હતો, જોકે સેનાએ હુમલાની પુષ્ટિ કરી નથી. ગામમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર સખત પ્રતિબંધ હોવાને કારણે આ ઘટનાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. એથનિક અરાકન આર્મી અને સ્થાનિક સંગઠનોએ આ હુમલાની જાણકારી આપી હતી, પરંતુ મ્યાનમાર સરકાર કે સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ફેબ્રુઆરી 2021 માં લશ્કરે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી ત્યારથી મ્યાનમારમાં વધતા સંઘર્ષ અને હિંસાનો આ હુમલો એક ભાગ છે. સૈન્યના હિંસક દમન સામે વિરોધ કરનારા ઘણા લોકો હવે સશસ્ત્ર પ્રતિકારમાં જોડાયા છે. મ્યાનમારના ઘણા ભાગોમાં વંશીય જૂથો અને સેના વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે, જે પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવે છે.
હુમલામાં 40 નાગરિકોના મોત
મ્યાનમારના ક્યોક ની માવ ગામમાં જેટ ફાઈટર દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 40 નાગરિકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. અરાકાન આર્મીના પ્રવક્તા ખાઈંગ થુખાએ જણાવ્યું કે હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત, હવાઈ હુમલાને કારણે લાગેલી આગમાં ગામમાં 500 થી વધુ ઘરો નાશ પામ્યા હતા. આ હુમલો વંશીય અરાકાન આર્મીના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં થયો હતો.


