ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમ ખાસ તૈયારીઓમાં બિઝી છે. ભારતે પહેલી વન ડે નાગપુરમાં 4 વિકેટે અને બીજી વન ડે કટકમાં 4 વિકેટે જીતીને ઈંગ્લેન્ડ સામેની 3 મેચની સિરીઝ 2-0થી જીતી લીધી છે.
અમદાવાદ શહેરમાં ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ” મોટેરા સાબરમતી ખાતે ભારત અને ઈંગ્લેન્ડ મેચને ધ્યાનમાં રાખીને મેચ દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત અને ડાયવર્ઝન કરવામાં આવે છે.
આ રોડ રહેશે બંધ
પ્રતિબંધિત/ડાયવર્ઝન વાળો માર્ગ જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડન્સીથી થઈ મોટેરા ગામ સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગતો
તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત થી જનપથ થઈ પાવર હાઉસ ચાર રસ્તા થાઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. કૃપા રેસીડેન્સી થી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
રહીશોને લાગુ નહીં પડે જાહેરનામું
સુંદર ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહી.
અમદાવાદમાં વન ડે મેચને કારણે GMRCનો મોટો નિર્ણય
12 ફેબ્રુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનારી આગામી એક દિવસીય ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને GMRCએ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
જાણો ક્યાં સ્ટેશન પરથી 10 વાગ્યા પછી બેસી શકશો
12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી) મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમિયાન માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદના કોઈ પણ મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.


