ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. તેની મેચ પાકિસ્તાનના ત્રણ શહેર એટલે કે લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાશે તો આ સિવાય દુબઈમાં પણ મેચ રમાશે. ટુર્નામેન્ટની શરૂઆતની મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં યોજાવાની છે. જ્યારે ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વિવાદ
ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલા એક નવો વિવાદ ઉભો થયો છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કરાચીના નેશનલ સ્ટેડિયમનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારા 7 દેશોના ધ્વજ કરાચીના નેશનલ સ્ટેડિયમની છત પર ફરકાવવામાં આવ્યા છે, જ્યારે ભારતીય ત્રિરંગો ગાયબ છે. આ ઘટનાક્રમથી ચાહકોમાં રોષ છે. કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ જેવી ટીમોના મેચ રમવામાં આવશે. વાયરલ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભારતીય ધ્વજ કેમ ફરકાવવામાં આવ્યો નહીં. કેટલાક લોકો દલીલ કરી રહ્યા છે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં કોઈ મેચ નહીં રમે, તેથી જ આવું કરવામાં આવ્યું. પણ આ થોડું આશ્ચર્યજનક લાગે છે.
શું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નિયમોનું ઉલ્લંઘન કર્યું?
ICCના નિયમો મુજબ, જો કોઈ દેશ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યો હોય, તો તેણે તે ઇવેન્ટમાં ભાગ લેનારા તમામ દેશોના ધ્વજ ફરકાવવા પડશે. તમને જણાવી દઈએ કે રાજકીય તણાવ અને સુરક્ષા ચિંતાઓને કારણે ભારત સરકારે તેની ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી ન હતી. આ કારણે, ICCએ આ ટુર્નામેન્ટ માટે ‘હાઇબ્રિડ મોડેલ’ પસંદ કર્યું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમ છે. બંને ગ્રુપમાંથી બે-બે ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી સીઝન વર્ષ 2017માં યોજાઈ હતી, જે પાકિસ્તાને જીતી હતી. પાકિસ્તાન પહેલી વાર આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટ આઠ વર્ષ પછી પુનરાગમન કરી રહી છે. ‘હાઇબ્રિડ મોડેલ’ હેઠળ, ભારત તેની બધી ગ્રુપ સ્ટેજ મેચ દુબઈમાં રમશે. જો તે આગળ વધે છે, તો તેના નોકઆઉટ તબક્કાના મેચો પણ દુબઈમાં યોજાશે.


