ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની શાનદાર સદીના આધારે માત્ર 4 વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કર્યો હતો.
પાકિસ્તાન હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી વહેલા બહાર થઈ જવાના ખતરોનો સામનો કરી રહ્યું છે. આ હાર સાથે, પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યું છે અને હવે સેમિફાઈનલમાં જગ્યા બનાવવા માટે તેને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.
જાણો પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં કેવી રીતે કરી શકે છે પ્રવેશ
ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઈનલમાં પહોંચવાની પાકિસ્તાનની શક્યતા હવે તેમના હાથમાં નથી. તેમને 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની તેમની છેલ્લી મેચ જીતવાની જરૂર છે અને આશા છે કે ન્યુઝીલેન્ડ અથવા બાંગ્લાદેશ આગામી બંને મેચ હારી જાય.
તેમનું ધ્યાન સોમવારે રાવલપિંડીમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પર પણ રહેશે. જો કિવીઓ બાંગ્લાદેશને હરાવે છે તો પાકિસ્તાન સત્તાવાર રીતે બહાર થઈ જશે. તે સ્થિતિમાં, ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચશે, જ્યારે બાંગ્લાદેશ પણ બહાર થઈ જશે.
જો બાંગ્લાદેશ 24 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડને હરાવે છે અને પાકિસ્તાન 27 ફેબ્રુઆરીએ કિવીઓને હરાવે છે, તો પાકિસ્તાને 2 માર્ચે બ્લેક કેપ્સને હરાવવા માટે ભારત પર આધાર રાખવો પડશે. જો ભારત જીતે છે, તો ત્રણ ટીમો ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનને બે-બે પોઈન્ટ મળશે. આ પરિસ્થિતિમાં, વધુ સારા નેટ રન રેટવાળી ટીમ ગ્રુપ A માંથી સેમિફાઈનલમાં ભારત સાથે જોડાશે.
જાણો શું છે સમીકરણો
- બાંગ્લાદેશ રાવલપિંડીમાં ન્યુઝીલેન્ડને હરાવે.
- પાકિસ્તાન રાવલપિંડીમાં બાંગ્લાદેશને હરાવે.
- ભારત દુબઈમાં ન્યુઝીલેન્ડને હરાવે.


