કરુણ નાયરની સદી અને દાનિશ માલેવરની અડધી સદી વડે વિદર્ભની ટીમે શનિવારે કેરળ સામે રમાતી રણજી ટ્રોફી ફાઇનલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી.
વિદર્ભની ટીમે ચોથા દિવસની રમતના અતે બીજા દાવમાં ચાર વિકેટે 249 રન બનાવી લીધા હતા. સ્ટમ્પના સમયે નાયર 132 તથા સુકાની અક્ષય વાડેકર ચાર રન બનાવીને રમી રહ્યા હતા. કેરળના પ્રથમ દાવ 342 રનના સ્કોરે સમેટાયો હતો અને વિદર્ભની ટીમે પ્રથમ દાવના 379 રનના આધારે 37 રનની લીડ મેળવી હતી. આમ વિદર્ભ કુલ 286 રન આગળ થયું છે.
વિદર્ભની ટીમે બીજા દાવની નબળી શરૂઆત કરી હતી અને પાર્થ રાખડે એક રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ધ્રુવ શોરે પણ પાંચ રન બનાવીને આઉટ થયો હતો જેના કારણે વિદર્ભે સાત રનના સ્કોર બંને ઓપનર ગુમાવી દીધા હતા. દાનિશ તથા નાયરે ઇનિંગને આગળ વધારી હતી અને ત્રીજી વિકેટ માટે 184 રનની ભાગીદારી નોંધાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. દાનિશે 162 બોલમાં પાંચ બાઉન્ડ્રી વડે 73 રન બનાવ્યા હતા. નાયરે 280 બોલનો સામનો કરીને 10 બાઉન્ડ્રી તથા બે સિક્સર ફટકારી હતી.


