રૈયા ચોકડી પાસે 44 વર્ષીય ફૂડ ડિલિવરી કર્મચારીનો આપઘાત
ઘરેથી નીકળ્યા બાદ લાંબા સમય સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ કરી; રૈયા ચોકડીએ સ્કૂટર મળ્યું, એ.ડી.બી. હોટેલ નજીક ઝેરી પ્રવાહી પીધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં આપઘાતની વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. રૈયા હિલ વિસ્તારમાં ગોવર્ધન હાઇટ્સમાં રહેતા 44 વર્ષીય ચેતનભાઈ વલ્લભભાઈ રાવરાણીએ માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફના માર્ગ પર એ.ડી.બી. હોટેલ નજીક ઝેરી પ્રવાહી ગટગટાવી જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં ભારે શોક છવાયો છે. ત્રણ બહેનોના એકના એક ભાઈ અને પરિવાર માટે આધારરૂપ ચેતનભાઈના અચાનક મૃત્યુથી પત્ની અને બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી મુજબ ચેતનભાઈ રાવરાણી ફૂડ ડિલિવરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત બપોરના સમયે તેઓ ઘરેથી હમણાં આવું છું, એક કામથી બહાર જાઉં છું, તેમ કહી સ્કૂટર લઈને નીકળ્યા હતા. જોકે, લાંબો સમય વીતી જવા છતાં તેઓ પરત ફર્યા ન હતા. પરિવારજનોને ચિંતા થતાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
શોધખોળ દરમિયાન ચેતનભાઈનું સ્કૂટર રૈયા ચોકડી પાસેથી મળી આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ આસપાસના વિસ્તારો તથા અલગ-અલગ રસ્તાઓ પર તપાસ શરૂ કરી હતી. દરમિયાન માધાપર ચોકડીથી આગળ એ.ડી.બી. હોટેલ નજીક લોકોનું ટોળું એકઠું થયેલું અને 108 એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હોવાનું જણાતા પરિવારજનોએ ત્યાં તપાસ કરી હતી. સ્થળ પર ચેતનભાઈ ઝેરી પ્રવાહી પીધેલી હાલતમાં બેભાન મળી આવ્યા હતા.
બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તબીબ ડો. ઝુબેરભાઈએ તપાસ કર્યા બાદ ચેતનભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી અને પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ચેતનભાઈએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે ગાંધીગ્રામ પોલીસે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ચેતનભાઈ ત્રણ બહેનોના એકના એક નાના ભાઈ હતા અને પરિવારના મુખ્ય આધારસ્તંભ ગણાતા હતા. તેમના પરિવારમાં પત્ની ભાવીશાબેન ઉપરાંત બે પુત્રો છે. બંને પુત્રોમાં એક ધોરણ-10માં અભ્યાસ કરે છે, જ્યારે બીજો કોલેજમાં અભ્યાસ કરે છે. પરિવારના મોભીના અચાનક અવસાનથી રાવરાણી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.


