ચેમ્પિયન્સ ટ્રોફીની આજે પહેલી સેમિફાઇનલ ક્રિકેટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, જેની ભારતીય ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે અને દાવો કર્યો છે કે ટીમ ઈન્ડિયા ચોક્કસપણે જીતશે.
રિવાબાએ મેચને લઇને શું બોલ્યા ?
રિવાબા જાડેજાએ કહ્યું કે ચોક્કસ પણ આપણે આ મેચ જીતવા જઇ રહ્યા છીએ. કારણ કે ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન પછી એક ખૂબ જ રસપ્રદ મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયાનો છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક હોય છે. ફક્ત મને જ નહીં, પરંતુ ભારતના બધા ક્રિકેટ પ્રેમીઓને વિશ્વાસ છે કે આપણે ચોક્કસપણે સેમિફાઇનલનો અવરોધ પાર કરીશું. ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ.
ભારત અને ઓસ્ટ્રેલિયાના મેચના આંકડા
ICC નોકઆઉટ મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામેનો છેલ્લો વિજય 2011 વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં હતો. ત્યારથી ભારત 2015 વર્લ્ડ કપ સેમિફાઇનલ, 2023 વર્લ્ડ કપ ફાઇનલ અને 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સહિતની મોટી મેચોમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું છે. જો આંકડાઓ પર નજર કરીએ તો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 151 વનડે મેચ રમાઈ છે. આમાંથી ભારતે 57 જીત મેળવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 84 જીત મેળવી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ
ભારતે ન્યૂઝીલેન્ડ સામે 44 રનથી શાનદાર જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ટીમ હજુ સુધી કોઈ મેચ હાર્યું નથી અને ખેલાડીઓનો જોશ હાઇ છે.. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં, શ્રેયસ ઐયરે 98 બોલમાં 79 રન બનાવીને ભારતીય ઇનિંગ્સનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે હાર્દિક પંડ્યા (45) અને અક્ષર પટેલ (42) એ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કેન વિલિયમસન 81 રનની શાનદાર ઇનિંગ રમીને ન્યૂઝીલેન્ડને લક્ષ્યની નજીક લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી અને 10 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટ ઝડપી.


