IPL 2025 હવે ટુંક સમયમાં શરૂ થવાની છે, આઈપીએલની રાહ દરેક ક્રિકેસરસીક જોઈ રહ્યો છે, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે નવા નિયમો જાહેર કર્યા છે. જેની હેઠળ ખેલાડીઓના પરિવારના સભ્યોને ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવાની મંજૂરી હવે આપવામાં આવશે નહીં. ટીમમાં શિસ્ત જાળવવા અને એકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ મોટો નિર્ણય BCCI દ્વારા લેવામાં આવ્યો છે.
આ લોકો ડ્રેસિંગ રૂમમાં પણ જઈ શકશે નહીં
BCCIના નવા નિયમો મુજબ ખેલાડીઓ હવે તેમના અંગત સ્ટાફ જેમ કે વ્યક્તિગત રસોઈયા, આયા, હેર સ્ટાઈલિસ્ટ વગેરેને સાથે લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત, ખેલાડીઓ 45 દિવસથી ઓછા સમયગાળાના ટુર્નામેન્ટ અથવા પ્રવાસમાં તેમના પરિવારના સભ્યોને સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે 45 દિવસથી વધુના પ્રવાસમાં ખેલાડીઓ તેમના પરિવાર સાથે ફક્ત એક જ વાર સમય વિતાવી શકે છે.
જાણો શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો
BCCIએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમોનું કડક પાલન કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની છૂટછાટ કે સમાધાન સ્વીકારવામાં આવશે નહીં. ટીમ મેનેજરોને સૂચના આપવામાં આવી છે કે બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ આ નિયમોનું કડક પાલન કરે. આ નવા નિયમોનો ઉદ્દેશ્ય ટીમમાં શિસ્ત, એકતા અને સકારાત્મક વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી ખેલાડીઓ તેમના પ્રદર્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. BCCIનું માનવું છે કે આ પગલાં ટીમની એકંદર સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


