આ વખતે મોહમ્મદ સિરાજ IPL 2025માં ગુજરાત ટાઇટન્સનો ભાગ છે. આ પહેલા સિરાજ ઘણા વર્ષો સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ હતો. જોકે સિરાજની સિઝન 18માં શરૂઆત ખાસ રહી ન હતી અને તે બોલિંગમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. આ પહેલા સિરાજ છેલ્લે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળ્યો હતો, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ સિરાજને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ન હતી. જે અંગે હવે સિરાજની પ્રતિક્રિયા સામે આવી છે. કેપ્ટન રોહિત શર્માને લઈને પણ સિરાજનું નિવેદન સામે આવ્યું છે.
રોહિત વિશે સિરાજે શું કહ્યું?
IPL 2025માં ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ ગુજરાત ટાઇટન્સ તરફથી બોલિંગ કરતો જોવા મળ્યો હતો, જોકે તેની બોલિંગ કંઈ ખાસ નહોતી.
સિરાજનું ખરાબ પ્રદર્શન
મોહમ્મદ સિરાજનું ખરાબ પ્રદર્શન IPL 2025ની પહેલી જ મેચમાં જોવા મળ્યું હતું. સિરાજે ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ રન ખર્ચ્યા હતા. બોલિંગ કરતી વખતે સિરાજે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા. જ્યારે તેમને કોઈ વિકેટ મળી ન હતી, સિરાજની નબળી બોલિંગને કારણે પંજાબ કિંગ્સ 243 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.
રોહિત ભાઈ પણ તે કરે છે જે ટીમ માટે શ્રેષ્ઠ હોય
તેણે કહ્યું, “શરૂઆતમાં, હું પચાવી શક્યો ન હતો કે હું ટીમનો ભાગ ન હતો. રોહિત ભાઈ પણ તે કરે છે જે ટીમ માટે શ્રેષ્ઠ હોય છે અને તેથી જ તેણે તે કર્યું. તેની પાસે ઘણો અનુભવ છે અને તે જાણતા હતા કે તે ટ્રેક પર ઝડપી બોલરો વધુ કામમાં આવશે નહીં. તે જાણતા હતા કે સ્પિનરો ઉપયોગી થશે અને તેથી જ તેણે મને અવગણવાનું નક્કી કર્યું.”
સિરાજે કહ્યું લાંબા સમય સુધી હું સતત રમી રહ્યો હતો
સિરાજે કહ્યું, “લાંબા સમય સુધી હું સતત રમી રહ્યો હતો. તેથી મેં મારી ફિટનેસ અને બોલિંગ પર કામ કરવા માટે બ્રેકનો ઉપયોગ કર્યો. જ્યારે તમે રમો છો ત્યારે તમને તમારી ભૂલોનો અહેસાસ નથી થતો. તેથી તે એક સારો બ્રેક હતો અને અમે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. તે સૌથી મોટી વાત હતી.”
સિરાજે કહ્યું કે તે ગુજરાતની જર્સી પહેરીને ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું, “જ્યારે મેં પહેલીવાર ગુજરાતની જર્સી પહેરી હતી ત્યારે હું ભાવુક થઈ ગયો હતો કારણ કે હું 7 વર્ષથી RCB સાથે છું. જો કે, અહીં આવ્યા પછી પણ મને નવું નથી લાગતું. અહીંનું વાતાવરણ ઘણું સારું છે.’


