ડોનાલ્ડ ટ્રમ્પના આ ટેરિફ લાદવાના નિર્ણયથી ભારત સહિત વિશ્વના તમામ શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો છે. જાપાનનું માર્કેટ સૌથી વધુ પ્રભાવિત થયું છે, જ્યાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ભારતની ઓટો, ટેક્સટાઈલ અને કૃષિ સહિતની અનેક પ્રોડક્ટ્સ પર આ ટેરિફ લાગુ થશે. જો કે, આ ટેરિફમાંથી સોના-ચાંદી અને ઈન્સ્યુલિન સહિતની 50 જેટલી પ્રોડક્ટ્સને બાકાત રાખવામાં આવી છે, જેના કારણે આ પ્રોડક્ટ્સના નિકાસ વેપાર પર કોઈ ખાસ અસર નહીં થાય. ખાસ કરીને ફાર્મા કંપનીઓને આ રેસિપ્રોકલ ટેરિફમાં ઘણા અંશે રાહત મળી છે, જેના પરિણામે આજે હેલ્થકેર ઈન્ડેક્સ 1.90 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, આ ટેરિફની સૌથી મોટી અસર આઈટી અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જોવા મળી રહી છે.
જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે કેટલીક મહત્વની પ્રોડક્ટ્સને આ ટેરિફમાંથી મુક્તિ આપી છે. આ મુક્તિ પામેલી પ્રોડક્ટ્સમાં સોનું, બિન-નાણાકીય બુલિયન અને ડોર, ચાંદી બુલિયન અને ડોર, ઈન્સ્યુલિન અને તેના સાલ્ટ, વિટામિન એ અને તેનાથી બનતી પ્રોડક્ટ્સ, વિટામિન બી1 (થાયમિન) અને તેના ડેરિવેટિવ, વિટામિન બી2 (રાયબોફ્લેવિન) અને તેના ડેરિવેટિવ, વિટામિન બી5 (ડી- અથવા ડીએલ-પેન્ટોથેનિક એસિડ) અને તેના ડેરિવેટિવ, વિટામિન બી6 (પાયરિડોક્સિન અને વિટામિન બી6 એક્ટિવ કમ્પાઉન્ડ સાથે) અને તેના ડેરિવેટિવ, વિટામિન બી12 (સાયનોકોબાલામિન અને વિટામિન બી12 એક્ટિવ કમ્પાઉન્ડ સાથે) અને તેના ડેરિવેટિવ, વિટામિન સી (એસ્કોર્બિક એસિડ) અને તેના ડેરિવેટિવ, વિટામિન ઈ (ટોકોફેરોલ અને વિટામિન ઈ એક્ટિવ કમ્પાઉન્ડ સાથે) અને તેના ડેરિવેટિવ, ફોલિક એસિડ અને તેના ડેરિવેટિવ, નિયાસિન અને નિયાસિનમાઈડ, અમુક પ્રકારના ટ્રાન્ઝિસ્ટર, કાગળ અથવા પેપરબોર્ડ, છાપેલી પુસ્તકો અને સાહિત્ય, સમાચારપત્રો, બાળકોની પુસ્તકો, સંગીત, નકશા, ગ્લોબ્સ, હસ્તલિખિત વસ્તુઓ, વેપારી જાહેરાત સામગ્રી, અમુક પ્રકારના ઝીંક, અમુક સેમિકન્ડક્ટર ઉપકરણો, ડાયોડ્સ અને ટ્રાન્ઝિસ્ટરના ભાગો, સિક્કા, સ્ટેનલેસ સ્ટીલનો ભંગાર, પ્લેટિનમ, પેલેડિયમ, રોડિયામ અને મૂળ રંગો અને તેના પર આધારિત તૈયારીઓનો સમાવેશ થાય છે.
આમ, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આ નવા ટેરિફની ભારત અને વૈશ્વિક બજારો પર મિશ્ર અસર જોવા મળી રહી છે. જ્યાં અમુક ક્ષેત્રોને મોટું નુકસાન થઈ શકે છે, તો અમુક પ્રોડક્ટ્સને ટેરિફમાંથી મુક્તિ મળવાથી રાહત પણ મળી છે.


