યશસ્વી જયસ્વાલે1 એપ્રિલે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પત્ર લખીને મુંબઈ છોડીને ગોવા જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેને તાત્કાલિક સ્વીકારી લેવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે હવે તે 2025-26 સીઝનથી ઘરેલુ ક્રિકેટમાં ગોવા માટે રમતા જોવા મળશે. તેને આ ટીમનો કેપ્ટન પણ બનાવી શકાય છે. જયસ્વાલે કહ્યું છે કે સારી તક મળતાં તેણે આ પગલું ભર્યું છે. જોકે IPLની વચ્ચે તેના અચાનક નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ત્યારે હવે એક વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે.
રહાણે સાથે અણબનાવ છે કારણ ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી અને ઘરેલુ ક્રિકેટમાં મુંબઈના કેપ્ટન અજિંક્ય રહાણે સાથે તેનો લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. એટલા માટે જયસ્વાલ મુંબઈ છોડીને ચાલ્યા ગયા હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. ઇંડિયા ટુડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યશસ્વી જયસ્વાલે નારાજ થયા પછી માત્ર ગોવાની કેપ્ટનશીપ જ નહીં પરંતુ મુંબઈની ટીમની કેપ્ટનશીપ પણ છોડી દેવાનો નિર્ણય લીધો. મેનેજમેન્ટ તરફથી સતત દબાણ અને નબળા પ્રદર્શન બાદ શંકાના દાયરામાં રાખવાને કારણે તે ખુશ ન હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેનેજમેન્ટ ઉપરાંત, જયસ્વાલના સંબંધો મુંબઈની ફર્સ્ટ ક્લાસ ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે સાથે પણ સારા નહોતા. બંને વચ્ચે લાંબા સમયથી અણબનાવ હતો, જે 2022 માં શરૂ થયો હતો.
રહાણેએ એક મેચમાં સ્લેજિંગ માટે જયસ્વાલને મેદાનની બહાર કરી દીધો હતો. તેણે યશસ્વીને મેદાન પર શિસ્ત તોડવા બદલ આ સજા આપી હતી. જયસ્વાલ સાઉથ ઝોનના બેટ્સમેન રવિ તેજાને સ્લેજ કરી રહ્યો હતો અને રહાણેને લાગ્યું કે તેણે મર્યાદા વટાવી દીધી છે. રહાણેની સજા બાદ જયસ્વાલે બીજી ઇનિંગમાં 323 બોલમાં 30 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 265 રન બનાવ્યા હતા.
રહાણેની કિટબેગને લાત મારી
ગયા ઘરેલુ સિઝનમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ મુંબઈ અને જમ્મુ અને કાશ્મીર વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં ભાગ લીધો હતો. આ મેચમાં જયસ્વાલનું પ્રદર્શન નબળું રહ્યું અને જમ્મુ અને કાશ્મીરે મુંબઈ સામે ઐતિહાસિક જીત નોંધાવી. મેચ પછી ટીમ મેનેજમેન્ટ દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી. એટલું જ નહીં, કોચ ઓમકાર સાલ્વી અને કેપ્ટન રહાણેએ જયસ્વાલની મુંબઈ ટીમ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યા હતા.
યશસ્વીને આ ગમ્યું નહીં અને ગુસ્સામાં તેણે કેપ્ટન રહાણેની કીટબેગને લાત મારી દીધી. અહીંથી મામલો વધુ વણસ્યો અને અંતે યશસ્વી જયસ્વાલે ટીમ છોડવાનો નિર્ણય લીધો. તે જ સમયે, બે સીઝન પહેલા, જ્યારે જયસ્વાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમી રહ્યા હતા, ત્યારે મેનેજમેન્ટ દ્વારા તેમના શોટ પસંદગી અંગે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. આ કારણે, જયસ્વાલને લાગ્યું કે તેમને ખોટી રીતે નિશાન બનાવવામાં આવ્યા છે.


