જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે આજે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી પક્ષોના નેતાઓએ ભાગ લીધો છે. આ આતંકવાદી હુમલાની દરેક લોકો દ્વારા નિંદા કરવામાં આવી રહી છે. વિપક્ષી પક્ષોએ કહ્યું કે અમે સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાને સમર્થન આપીશું.
વિપક્ષી પક્ષોએ ઉઠાવ્યા આકરા પ્રશ્નો
સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી પક્ષોએ આકરા પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું, ‘ગુપ્તચર એજન્સીઓ ક્યાં હતી?’ સીઆરપીએફ અને સુરક્ષા દળો ક્યાં હતા? મોટાભાગના રાજકીય પક્ષોએ ગુપ્તચર ખામી અને ત્યાં યોગ્ય સુરક્ષા તૈનાતીનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ એમ પણ પૂછ્યું કે જ્યાં ઘટના બની ત્યાં કોઈ સુરક્ષા કર્મચારી કેમ નહોતા?આ અંગે સરકારે કહ્યું કે સામાન્ય રીતે આ રસ્તો જૂન મહિનામાં ખોલવામાં આવે છે, જ્યારે અમરનાથ યાત્રા શરૂ થાય છે. કારણ કે અમરનાથ યાત્રાના યાત્રાળુઓ આ સ્થળે આરામ કરે છે. આ વખતે સ્થાનિક ટુર ઓપરેટરોએ સરકારને જાણ કર્યા વિના પ્રવાસીઓનું બુકિંગ લેવાનું શરૂ કરી દીધુ અને 20 એપ્રિલથી પ્રવાસીઓને ત્યાં લઈ જવાનું પણ શરૂ કરી દીધું હતું. સ્થાનિક અધિકારીઓને આ વાતની જાણ નહોતી અને તેથી ત્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી. કારણ કે આ સ્થળે દર વર્ષે જૂન મહિનામાં અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
દેશમાં દરેક વ્યક્તિ હુમલાથી ચિંતિત: કિરેન રિજિજુ
સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, “રક્ષા મંત્રીએ CCS બેઠકમાં પહેલગામમાં બનેલી ઘટના અને ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપી છે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. દેશમાં દરેક વ્યક્તિ આ અંગે ચિંતિત છે, આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પણ આજે વધુ કડક કાર્યવાહી કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.”