બાબા બર્ફાનીના ભક્તો હંમેશા તેમના ખાસ દર્શન માટે ઉત્સુક રહે છે અને અમરનાથ યાત્રા શરૂ થવાના 2 મહિના પહેલા ભગવાન શિવના બરફથી બનેલા શિવલિંગના દર્શન તમે કરી શકો છો. અમરનાથ યાત્રાની સત્તાવાર શરૂઆત થવામાં હજુ 2 મહિના બાકી છે, પરંતુ કેટલાક શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા સુધી પહોંચી ગયા છે અને તેમણે જ ગુફામાં આ ફોટા પાડ્યા છે. પંજાબનો રહેવાસી આ ભક્ત થોડા દિવસ પહેલા ગુફાની મુલાકાત લેવા ગયો હતો. જોકે, સત્તાવાર રીતે શ્રાઈન બોર્ડના કોઈ અધિકારી કે સુરક્ષા કર્મચારી હજુ સુધી ગુફા સુધી પહોંચી શક્યા નથી.
રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી ચાલુ
આ વર્ષની અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને યાત્રા રૂટ પર બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. યાત્રાના નિર્ધારિત સમય પહેલા ટ્રેક બનાવવાનું કામ પૂર્ણ કરી શકાય તે માટે બંને રૂટ (બાલતાલ અને ચંદનવાડી) પરથી બરફ કાપવાનું અને ટ્રેકને પ્રવાસીઓ માટે યોગ્ય બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, સમગ્ર રૂટ પર ભારે બરફવર્ષાને કારણે આ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે તૈયારીઓની સમીક્ષા કરી
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સોમવારે શ્રીનગરના પંથા ચોક ખાતે અમરનાથ યાત્રા ટ્રાન્ઝિટ કેમ્પની મુલાકાત લીધી હતી અને યાત્રા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. પહેલગામ હુમલા પછી પણ અમરનાથ યાત્રા માટે ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, યાત્રા માટે 3 લાખ 60 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી છે અને આ સંખ્યા વધુ વધવાની ધારણા છે.
3 જુલાઈથી શરૂ થશે યાત્રા
આ વખતે પાછલા વર્ષોની સરખામણીમાં ટ્રેક પર અનેક ગણો વધુ બરફ પડ્યો છે અને હજુ પણ આખા રૂટ પર 10થી 20 ફૂટ બરફ છે. તેનો પુરાવો આ તસવીરોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આ તસવીરો પંચતર્ણી અને શેષનાગ ખાતે લેવામાં આવી હતી. આ વર્ષની અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે અને 19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.