ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે. દરમિયાન અત્યારે ભારતમાં રમાઈ રહેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)લીગને લઈને આજે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. IPL 2025 ચાલુ રહેશે કે સ્થગિત કરાશે તેને લઈને સરકારના નિર્દેશોની રાહ જોવાઈ રહી છે તેમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ચેરમેન અરુણ ધુમલે જણાવ્યું હતું. જ્યાં સુધી સરકાર તરફથી વધુ કોઈ નિર્દેશ ના આવે ત્યાં સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેના સમયપત્રક મુજબ શુક્રવારે લખનૌ સુપર જાયન્ટસ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. જણાવી દઈએ કે પાકિસ્તાન તરફથી હુવાઈ હુમાલાની આશંકાએ ગતરોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચેથી જ રદ કરવામાં આવી હતી. આ મેચ બાદ અને ગત મોડી રાતથી પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીર, જેસલમેર અને ભુજમાં કરવામાં આવેલ ડ્રોન હુમલા બાદ હવે ઇન્ડિયન પ્રીમયર લીગ ચાલુ રહેશે કે કેમ તેને લઈને સવાલો થઈ રહ્યા છે. આજે આ મુદ્દે નિશ્ચિત નિર્ણય લેવાઈ શકે છે.
પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ચેરમેન અરુણ ધુમલે વધુમાં કહ્યું કે “અમે હાલમાં પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ,” અત્યારે દેશમાં તણાવભરી સ્થિતિ છે. આગામી સમયમાં સંભવત સ્થિતિ વધુ ગંભીર સ્થિતિ બની શકે છે. જો કે અત્યાર સુધીમાં આ મામલે અમને સરકાર તરફથી કોઈ સૂચના મળી નથી. સ્વાભાવિક છે કે બધી ‘લોજિસ્ટિક્સ’ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. શુક્રવારે લખનૌમાં યોજાનારી IPL મેચ વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “હા, તે હાલમાં થશે, પરંતુ અલબત્ત પરિસ્થિતિઓ બદલાઈ રહી છે અને કોઈપણ નિર્ણય તમામ હિસ્સેદારોના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.”
દેશમાં યુદ્ધ સ્થિતિનો માહોલ
મહત્વનું છે કે ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે. પંજાબ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું હોવાથી ત્યાંની સ્થિતિ વધુ સંવેદનશીલ છે. ગતરોજ પાકિસ્તાન તરફથી હવાઈ હુમલાની આશંકાએ ધર્મશાલામાં મેચ અધવચ્ચેથી જ રદ કરી દેવાઈ હતી. આઈપીએલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો છે તેને લઈને સુરક્ષાનું જોખમ વધુ છે. એટલે બંને ટીમોના ખેલાડીઓ સહિત સપોર્ટ સ્ટાફને લગભગ 85 કિમી દૂર પઠાણકોટથી એક ખાસ ટ્રેન દ્વારા દિલ્હી લઈ જવામાં આવશે. જણાવી દઈએ કે મેચ દરમિયાન જ્યારે અંધારપટ છવાયો ત્યારે ત્યારે પંજાબનો સ્કોર 10.1 ઓવરમાં એક વિકેટે 122 રન હતો. ઇન્ડિયન પ્રીમીયર ચાલુ રાખવા કે સ્થગિત કરવાને લઈને આજે નિર્ણય લેવાશે.


