વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિરાટ કોહલીએ એક ઈમોશનલ પોસ્ટ લખીને પોતાના 14 વર્ષના લાંબા ટેસ્ટ કરિયર પર પૂર્ણવિરામ લગાવ્યું. વિરાટની નિવૃત્તિએ કરોડો ફેન્સના દિલ તોડી નાખ્યા.
પરંતુ સવાલ એ છે કે, સંપૂર્ણપણે ફિટ વિરાટ કોહલીએ 36 વર્ષની ઉંમરે અચાનક નિવૃત્તિની જાહેરાત કેમ કરી? વિરાટ કોહલીએ તેના મનપસંદ ફોર્મેટને અલવિદા કહેવાના ત્રણ સંભવિત કારણો જણાવીએ.
ખરાબ ફોર્મને કારણે સર્જાયું દબાણ
વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો હતો. વનડેમાં વિરાટના બેટમાંથી રન આવી રહ્યા હતા, પરંતુ ટેસ્ટમાં રનનો દુકાળ સમાપ્ત થતો ન હતો. ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણેની ટેસ્ટ સિરીઝમાં વિરાટ ફ્લોપ રહ્યો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ. ખરાબ ફોર્મને કારણે વિરાટ પર દબાણ વધી રહ્યું હતું. રોહિત શર્માએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે આ દબાણ વધુ વધી ગયું.
ODI વર્લ્ડકપ પર કરશે ધ્યાન કેન્દ્રિત
એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલી 2027 માં યોજાનાર ODI વર્લ્ડ કપ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો અને કદાચ તેથી જ તેને ટેસ્ટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો. વિરાટ T20 ફોર્મેટમાંથી પહેલાથી જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે. કોહલીને ODI ફોર્મેટ ખૂબ ગમે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોહલીનું પ્રદર્શન પણ અદ્ભુત હતું.
માનસિક અને શારીરિક થાક
વિરાટ કોહલીના નિવૃત્તિનું એક મુખ્ય કારણ માનસિક અને શારીરિક થાક પણ માનવામાં આવી રહ્યો છે. કોહલી છેલ્લા 15 વર્ષથી ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે. પાંચ દિવસની ટેસ્ટ મેચમાં ઘણો થાક હોય છે અને હંમેશા પોતાને રિફ્રેશ રાખવું સરળ નથી. કદાચ આ જ કારણ છે કે કોહલીએ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો.


