IPL 2025માં ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરનારી પ્રથમ ટીમ બની. પરંતુ ટીમને લીગ રાઉન્ડની છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા તેઓ લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારી ગયા, પછી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ હાર્યા.
હવે IPL પ્લેઓફ શરૂ થવાની છે, ત્યારે પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ગુજરાતની ટીમ આ સ્થળે પહોંચી ચૂકી છે.
શું યુવરાજ સિંહ ટીમનો બની શકે છે મેન્ટર?
આજકાલ એવી ચર્ચા છે કે યુવરાજ સિંહ ટૂંક સમયમાં ગુજરાત ટાઈટન્સમાં મેન્ટર અથવા કોચ તરીકે જોડાઈ શકે છે. તાજેતરમાં યુવરાજ સિંહ અને શુભમન ગિલ ચંદીગઢમાં સાથે જોવા મળ્યા હતા. આ પછી, એવી અટકળો વધી ગઈ છે કે યુવી પ્લેઓફ પહેલા ટીમનો ભાગ બની શકે છે. ગુજરાત ટાઈટન્સ સોશિયલ મીડિયા પર યુવરાજ અને ગિલનો એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં કેપ્શન હતું, “કેમ છો?”
યુવરાજ સિંહ અને શુભમન ગિલ વચ્ચેના ખૂબ સારા છે સંબંધો
યુવરાજ સિંહ અને શુભમન ગિલ વચ્ચેના સંબંધો ખૂબ સારા છે. યુવીએ તેની શરૂઆતની કારકિર્દીમાં ગિલને ઘણું માર્ગદર્શન આપ્યું છે અને તે તેનો મેન્ટર પણ રહ્યો છે. ગિલની રમતમાં યુવરાજનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. IPL 2025 શરૂ થાય તે પહેલાં જ એવા અહેવાલો હતા કે યુવરાજ ટીમના સપોર્ટ સ્ટાફમાં જોડાઈ શકે છે. આ પાછળનું એક કારણ એ છે કે યુવરાજ અને મુખ્ય કોચ આશિષ નેહરા સારા મિત્રો છે.
ગિલની કેપ્ટનશીપમાં ટીમ ફરીથી પ્લેઓફમાં પ્રવેશી
ગુજરાત ટાઈટન્સે 2022 માં IPL માં પ્રવેશ કર્યો હતો. પહેલી જ સિઝનમાં ટીમે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટાઈટલ જીત્યું હતું. ૨૦૨૩ માં, ટીમ ફરીથી ફાઈનલમાં પહોંચી પરંતુ જીતી શકી નહીં. આ પછી, હાર્દિક 2024 માં મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી. 2024માં ટીમનું પ્રદર્શન સારું ન હતું, પરંતુ 2025માં ગિલની કેપ્ટનશીપમાં ટીમ ફરીથી પ્લેઓફમાં પ્રવેશી છે.


