આધ્યાત્મિક પ્રક્રિયા તરફ આગળ વધવાની ત્રણ રીતો છે. એક રીત એ છે કે, ધીમે ધીમે કેટલાક જન્મો સુધી યોગ્ય કાર્યો કરીને તમે ત્યાં પહોંચી જશો. બીજી રીત એ છે કે, તમે તમારી વર્તમાન પરિસ્થિતિમાં રહો, તમે જે શ્રેષ્ઠ કરી શકો તે કરો, તમારી જાતને ખુલ્લી અને કેન્દ્રિત રાખો અને તમારા ગુરુ માટે તમારી જાતને ઉપલબ્ધ કરો. જ્યારે છેલ્લી ક્ષણ આવે, ત્યારે ગુરુ તેની કાળજી લેશે. બીજી રીત એ છે કે, તમે અત્યારે જ કંઈક જાણવા માંગો છો, તમે અત્યારે જ તમારી સીમાઓને તોડવા માંગો છો અને પરે જવા માંગો છો, તમે અત્યારે જ જીવનને તેની સીમાઓથી પરે જાણવા માંગો છો. તો પછી તમારે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તેની ચિંતા ન કરવી જોઈએ, કેમ કે ઘણી બધી વસ્તુઓ થશે જેની કોઈ મંજૂરી નહીં આપે. સમાજ મંજૂરી નહીં આપે, લોકો મંજૂરી નહીં આપે, તમારો પરિવાર કદાચ મંજૂરી નહિ આપે, કેમ કે તેઓ તમારી સાથે એટલે જોડાયેલા હતા, કેમ કે તમે એક પ્રકારના વ્યક્તિ હતા. જો તમે બીજા પ્રકારના બનો છો, તો તેઓ તમારી સાથે સંબંધ રાખી શકશે નહીં.
માનો કે તમે કોઈની સાથે લગ્ન કર્યાં. તેઓએ તમારી સાથે લગ્ન કર્યાં, કેમ કે તમે એક ચોક્કસ પ્રકારના વ્યક્તિ હતા. જો તમે બીજા પ્રકારના બનો, કદાચ તે સુંદર પ્રકાર છે, પણ અલગ પ્રકાર છે, તો તમે અચાનક એક અજાણી વ્યક્તિ છો. તેઓ તમારી સાથે રહી શકશે નહીં, સિવાય કે તેમની પાસે જ્ઞાન અને સમજ હોય કે તેઓ તમને એક મોટી સંભાવના તરીકે જુએ કે `મારો સાથી આગળ વધી ગયો છે. મારાથી આગળ હોય તેવા કોઈક સાથે હોવું અદ્ભુત છે.’ જો એટલી સમજ હોય તો ઠીક છે, પણ જો એટલી સમજ આવે, તો સંબંધે પોતાને રૂપાંતરિત કરવો પડશે. તે પહેલાં જે હતું તે રહી શકશે નહીં, તેને કંઈક બીજું બનવું પડશે. એકવાર તમે જુઓ કે કોઈ તમારાથી ઘણું આગળ છે, પછી તે સંબંધ પતિ અને પત્ની, માતા અને પુત્ર, આ અને તે નહીં રહી શકે, તે કંઈક બીજું બની જશે. તો કોઈક રીતે તમે જેને મૂલ્યવાન માનતા હતા તે તૂટી જશે કાં તો ભૌતિક રીતે તૂટીને જતું રહેશે અથવા તમે એ જ જગ્યાએ સાથે રહેશો, છતાં તે બદલાઈ જશે. દુનિયામાં કેટલા લોકો તેના માટે તૈયાર છે? તો બીજા બે વિકલ્પો ઘણા બધા લોકો માટે વધુ સારા છે, કે તમે યોગ્ય કાર્યો કરો, તમારા ગુરુ માટે ઉપલબ્ધ રહો. જ્યારે છેલ્લી ક્ષણ આવે, ત્યારે તેઓ તેની કાળજી લેશે. અથવા તમે ઉપલબ્ધ થવા પણ રાજી નથી, પણ તમે થોડી નાની વસ્તુઓ કરવા તૈયાર છો, તમારી જાત માટે કોઈક પ્રકારનું પોષણ કરે તેવો અભ્યાસ કરો જેથી ભવિષ્યમાં ક્યાંક, કંઈક થશે. હું કોઈ માટે તે ઈચ્છતો નથી. કાં તો તમારે અત્યારે તમારી સીમાઓ તોડવી જોઈએ અથવા ઓછામાં ઓછું મૃત્યુની ક્ષણે તે થવું જોઈએ.
તમારી અને પરમ વચ્ચે તમારા સિવાય બીજું કંઈ નથી. તમારી અને પરમ વચ્ચે કોઈ પર્વત ઊભો નથી, બસ તમારું પોતાનું માનસિક માળખું છે. જો તમારે તે તોડવું હોય, તો આપણે કંઈક ઊલટું કરવું પડશે. આ એક સરળ વસ્તુ છે જે તમે કરી શકો છો. કોઈ એવી વ્યક્તિ સાથે જોડાઓ જે તમને ગમતી નથી. તે વ્યક્તિ સાથે સમય વિતાવો, ખૂબ પ્રેમથી, આનંદથી. ઘણી બધી વસ્તુઓ તૂટી જશે, પણ તમે હંમેશાં એવી વ્યક્તિ સાથે જોડાઓ છો જે તમને ગમે છે, તે તમારા માટે સારું નથી. જો તમે એવું કંઈક પસંદ કરો છો જે તમને ગમે છે, તો તે તમારા વ્યક્તિત્વને મજબૂત કરે છે. એવી વસ્તુઓ કરવાનું શીખો જે તમને ગમતી નથી, એવા લોકો સાથે રહો જે તમને નથી ગમતા અને છતાં તમારું જીવન સમજદારીથી, પ્રેમથી અને આનંદથી જીવો. બધું તૂટી જશે.