ગણેશોત્સવમાં પી.ઓ.પી. તથા ૯ ફૂટથી ઊંચી પ્રતિમા બનાવવા પર પ્રતિબંધ
જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ: ગણેશ પંડાલોમાં અગ્નિશમનના સાધનો રાખવા ફરજિયાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. ગણેશ મહોત્સવ દરમિયાન જળ તથા ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય અને સુલેહ, શાંતિ તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજકોટ જે.એચ. બારોટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ ભગવાન ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવવા, વેચવા કે તેની સ્થાપના કરવા પર પ્રતિબંધ છે. ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત ૦૯ ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવાની મનાઈ છે. નક્કી કરેલા વિસર્જન સ્થળો અને લીધેલી મંજૂરીમાં દર્શાવેલા સ્થળ સિવાય અન્ય દરિયા, નદી, તળાવ, કુદરતી જળસ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા પર પ્રતિબંધ રહેશે.
મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા મૂર્તિઓ જે જગ્યાએ વેચાણ માટે રાખે છે તે જગ્યાની નજીક તથા આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવી નહીં તેમજ મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરી શકાશે નહીં. મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા પર પ્રતિબંધ રહેશે.
કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિહ્નો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા તેમજ સ્થાપના કરવાની મનાઈ છે. સ્થાપના/વિસર્જન સરઘસ યોજવાની પરમિટમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય રૂટ ઉપર સ્થાપના/વિસર્જન સરઘસ યોજવા પર પ્રતિબંધ રહેશે. સી.સી.ટી.વી. અને ફાયર એક્સટિંગ્વિશર (અગ્નિશામક) લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન થઈ શકશે નહીં. નિશ્ચિત માત્રા કરતાં વધુ અવાજ થાય એ રીતે લાઉડ સ્પીકર કે મ્યુઝિક સિસ્ટમ વગાડી શકાશે નહીં.
આ જાહેરનામું તા. ૩૦/૦૮/૨૦૨૬થી તા. ૨૬/૦૯/૨૦૨૬ સુધી રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાનાં તમામ વિસ્તારમાં અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
મનપા શાળા સંચાલક મંડળ ગણેશ ભગવાનની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું વિતરણ કરાશે
પર્યાવરણનું સંરક્ષણ, પ્રાકૃતિક સંસાધનોનું જતન અને સમાજમાં પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃતિ કેળવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. આગામી માસમાં આવનાર ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને નાગરિકો વધુમાં વધુ ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવે તેવા શુભ આશય સાથે માટીમાંથી નિર્માણ કરવામાં આવેલી ગણેશ ભગવાનની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેયર ડૉ. નેહલ શુક્લ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોએ વિગતવાર માહિતી આપી હતી.


