RCBની ટીમે IPL 2025નું ટાઈટલ જીતી લીધું છે અને ત્યારબાદ આખી ટીમનું બેંગ્લુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સન્માન થઈ રહ્યું છે. જો કે આ સન્માન દરમિયાન મોટી દુર્ઘટના પણ બની છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લાખોની સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા છે અને તે દરમિયાન ભાગદોડની સ્થિતિ સર્જાઈ છે, જેમાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.
ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મળતી માહિતી મુજબ RCBની વિક્ટ્રી પરેડમાં લાખોની સંખ્યામાં લોકો એક્ઠા થયા છે અને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર જાણે કે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. પોલીસને પણ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો છે. ત્યારબાદ ભારે ભાગદોડ મચી ગઈ છે. આ ભાગદોડ બાદ સ્થિતિ બગડી અને તેમાં 3 લોકોના મોત થયા અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. હાલમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ખેલાડીઓ કર્ણાટકના મુખ્યપ્રધાનને મળવા માટે વિધાનસભા પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે RCBની ટીમ અમદાવાદથી બેંગ્લૂરૂ પહોંચી છે અને કર્ણાટકના મુખ્યપ્રધાનને મળવા માટે વિધાનસભા પહોંચી છે, ત્યારબાદ ખેલાડીઓ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચશે અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2025નું ટાઈટલ RCBની ટીમે પંજાબને હરાવી જીતી લીધું છે.