ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત બાદ BCCI હવે એક્શન મોડમાં આવી ગયું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના IPL વિજયની ઉજવણી દરમિયાન થયેલા ભયાનક અકસ્માત બાદ બોર્ડ ભવિષ્યમાં આવી ઘટનાઓને નિયંત્રિત કરવા માટે ઔપચારિક માર્ગદર્શિકા પર વિચાર કરી રહ્યું છે.
BCCI સેક્રેટરીએ આ સ્વીકાર્યું
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, લીગ હવે ભવિષ્યમાં ટાઇટલ ઉજવણી માટે ધોરણો નક્કી કરવા પર સક્રિયપણે વિચાર કરશે. કોઈક તબક્કે BCCIએ કંઈક કરવું પડશે. આપણે મૂક પ્રેક્ષક રહી શકીએ નહીં. જોકે RCBની ઉજવણી ખાનગી રીતે આયોજિત કરવામાં આવી હતી. પરંતુ BCCI સેક્રેટરીએ સ્વીકાર્યું કે આ ઘટનાના પરિણામોને રમતના મોટા ઇકોસિસ્ટમથી અલગ કરી શકાતા નથી.
ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પ્રયાસ: BCCI
તેમણે કહ્યું હતું કે, તે RCBનો ખાનગી મામલો હતો પરંતુ BCCIમાં અમે ભારતમાં ક્રિકેટ માટે જવાબદાર છીએ અને અમે ખાતરી કરવાનો પ્રયાસ કરીશું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. આ ઘટના બાદ જવાબદારી અને સુધારાની માંગણીઓ કરવામાં આવી રહી છે. કર્ણાટક સરકારે પહેલાથી જ કાર્યવાહી કરી છે પોલીસ અને આયોજક અધિકારીઓ સામે અનેક ધરપકડો અને શિસ્તભંગના પગલાં લીધા છે. ભીડ નિયંત્રણ અને આવા સામૂહિક કાર્યક્રમોના હેતુ અંગે ક્રિકેટ જગતમાં ચિંતાઓ ઉભી થઈ રહી છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ગૌતમ ગંભીરે આ વાત કહી
આ ઘટનાના એક દિવસ બાદ ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ ખુલ્લેઆમ ઉજવણીનો વિરોધ કર્યો હતો. ગંભીરે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે લોકોના જીવન વધુ મહત્વપૂર્ણ છે અને હું આ કહેવાનું ચાલુ રાખીશ. આપણે આવા રોડ શો ન કરવામાં થોડી કાળજી રાખી શકીએ છીએ અને કદાચ બંધ દરવાજા પાછળ અથવા સ્ટેડિયમમાં આવું કંઈક કરી શકીએ છીએ.