ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો
બોરડી સમઢિયાળા ગામે ચોરીનો ભેદ ઉકેલાયો, ફોન પર સતત સંપર્કમાં રહેલા પૂર્વ પ્રેમીને પૈસાની જરૂરિયાત હોવાનું કહેતાં ઘરમાંથી જ દાગીના, રોકડ અને મોબાઈલ ચોરી સોંપ્યા
શંકાસ્પદ કારના આધારે જેતપુર તાલુકા પોલીસે આગ્રાથી આરોપીને ઝડપી પાડ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામમાં જૂન મહિનામાં બનેલી ઘરફોડ ચોરીના ગુનાનો જેતપુર તાલુકા પોલીસે ચોંકાવનારો ભેદ ઉકેલી લીધો છે. શરૂઆતમાં અજાણ્યા તસ્કરની કરતૂત માનવામાં આવેલી આ ચોરી પાછળ ઘરની જ પુત્રવધૂનું કાવતરું હોવાનું સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે ઉત્તરપ્રદેશના આગ્રાથી એક આરોપીને ઝડપી પાડતા તેની કબૂલાતના આધારે ખેડૂતની પુત્રવધૂની પણ ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, બોરડી સમઢીયાળાના રહેવાસી રમેશભાઈ વાલજીભાઈ બાબરીયાએ 21 જૂનના રોજ ફરિયાદ નોંધાવી હતી કે 17 જૂનની મધરાત્રિ દરમિયાન તેમના ઘરમાંથી અંદાજે રૂ.1.76 લાખના સોના-ચાંદીના દાગીના, રૂ.22,900 રોકડ તેમજ અન્ય સામાન મળી કુલ રૂ.1.98 લાખથી વધુની ચોરી થઈ હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બનાવસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે એક શંકાસ્પદ કાર પોલીસના રડારમાં આવી હતી. કારનો રૂટ ટ્રેસ કરતા તે ઉત્તરપ્રદેશના આગ્રાથી આવી ચોરી બાદ પરત ફરી હોવાનું બહાર આવતાં પોલીસની એક વિશેષ ટીમ આગ્રા પહોંચી હતી. ત્યાંથી અમનસિંહ નિરંજનસિંહ પરમાર નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન અમનસિંહે કરેલી કબૂલાતે કેસમાં મોટો વળાંક લાવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે બોરડી સમઢીયાળામાં રહેતી નિશાબેન વિશાલ બાબરીયા અને અમનસિંહ અગાઉથી પરિચિત હતા તથા બંને લાંબા સમયથી ફોન પર સંપર્કમાં હતા. અમનસિંહે પૈસાની જરૂરિયાત હોવાનું જણાવતાં નિશાએ પોતાના જ સાસરાના ઘરમાંથી દાગીના, રોકડ અને મોબાઈલની ચોરી કરી તેને સોંપી દીધા હતા. ત્યારબાદ પોલીસે નિશાબેનની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે બંને આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહિત અંદાજે રૂ.1.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાકીના મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટના બહાર આવ્યા બાદ પરિવારને શરૂઆતમાં ઘરમાં અજાણ્યા તસ્કર ઘૂસ્યા હોવાની શંકા હતી. ઘટનાના સમયે પરિવારના સભ્ય વિશાલ બાબરીયાએ પોતાના મોબાઈલ, પાકીટ અને સોનાની વીંટીઓ ગાયબ હોવાનું જણાવ્યું હતું. ઘરના કબાટ ખુલ્લા અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જ્યારે પત્ની નિશાએ પોતાનું મંગળસૂત્ર, બુટી અને પાયલ પણ કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉતારી લીધાનું કહી પરિવારને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની ઝીણવટભરી તપાસે આખું કાવતરું ઉજાગર કરી દીધું.


