વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજનીતિની દુનિયામાં એક અલગજ પ્રકારનું હુનર ધરાવે છે. રાજનૈતિક કૂટનીતિનો સૌથી સફળ ઉપયોગ કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મહારથ હાંસલ છે એવું ચોક્કસથી કહી શકાય. વિશ્વના નાના મોટા દેશોની મુલાકાત લઈને અન્ય દેશોના ભારત સાથે સંબંધ મજબૂત બનાવવા માટે મોદી ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે, અને સફળતા પણ મેળવી રહ્યા છે.
મોદી કેનેડાથી ક્રોએશિયા પ્રવાસ માટે રવાના
આજે એટલે કે 18 જૂનના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના કેનેડા પ્રવાસથી આગળ વધ્યા છે. આ વખતે તેમણે યુરોપિયન દેશોની મુલાકાતને આગળ વધારી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કેનેડાથી ક્રોએશિયા પ્રવાસ માટે રવાના થયા. અને આ સાથે તેઓ ભારતની રાજનીતિમાં આ કાર્ય કરનારા પહેલા વડા પ્રધાન બન્યા. તેઓ આ બાલ્કન યુરોપિયન દેશની મુલાકાત લેનારા ભારતના પહેલા વડા પ્રધાન બન્યા છે. આ મુલાકાતનો હેતુ ભારત-ક્રોએશિયા સંબંધોને વધારે મજબૂત બનાવવાનો છે.
G7 સમિટની “અર્થપૂર્ણ” મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં G7 સમિટ દરમિયાન વિશ્વના દિગ્ગજ નેતાઓ સાથે હરોળમાં ઊભા હતા, એ પળ સમગ્ર દેશ માટે એક ગૌરવની પળ હતી. વિશ્વ ફલક પર જે રીતે ભારતની નોંધ લેવાઈ રહી છે, એ એક મહત્વપૂર્ણ બાબત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં G7 સમિટની “અર્થપૂર્ણ” મુલાકાત પૂર્ણ કર્યા પછી બુધવારે એટલે કે 18 જૂનના રોજ ક્રોએશિયા જવા રવાના થયા છે. આ ત્રણ દેશોની તેમની મુલાકાતનો ત્રીજો અને છેલ્લો સ્ટોપ છે. તેઓ ક્રોએશિયાની મુલાકાત લેનારા ભારતના પહેલા વડા પ્રધાન છે. ક્રોએશિયા બાલ્કન દેશમાં આવે છે. અગાઉ તેઓ સાયપ્રસની મુલાકાતે ગયા હતા.
ક્રોએશિયા પ્રવાસનો હેતુ શું છે
અહિયાં સ્વાભાવિક રીતે સવાલ થાય કે જો આ પહેલા અન્ય કોઈ ભારતીય વડાપ્રધાને ક્રોએશિયાની મુલાકાત લીધી નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપિયન દેશની પ્રથમ મુલાકાત લેનાર નેતા બન્યા છે તો એનું કારણ શું છે? તો કારણ છે કે વડા પ્રધાન મોદી દેશના ક્રોએશિયા સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માંગે છે, વેપાર, ટેકનોલોજી, સંસ્કૃતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગના ક્ષેત્રોમાં ભારત અને ક્રોએશિયા વચ્ચેના સંબંધોને પણ મજબૂત બનાવવા માંગે છે. આ ઉપરાંત, મોદી યુરોપિયન યુનિયન સાથે સંબંધો વધારવા માંગે છે, કારણ કે ક્રોએશિયા યુરોપિયન યુનિયનનું સભ્ય છે અને આ મુલાકાત ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપશે.