ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. જો તમારે સાચે જ સ્વર્ગની અનુભૂતિ કરવી હોય તો ઉત્તરાખંડ સૌથી સુંદર જગ્યા છે. ઉત્તરાખંડને દેવોની ભૂમિ એટલા માટે કહેવામાં આવે છે કે, અહીં હિન્દુ દેવ-દેવીઓનાં અનેક મંદિર આવેલાં છે.
પુરાણો અને અન્ય શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દેવભૂમિ એટલે કે, ઉત્તરાખંડનું નિર્માણ દેવતાઓ દ્વારા જ કરવામાં આવ્યું છે. અહીં મોટાભાગનાં દેવી-દેવતાઓનાં પ્રાચીન-અર્વાચીન મંદિરો તમને ચોક્કસથી જોવા મળશે. આશ્ચર્યની વાત એ છે કે, અહીં ભગવાન કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરુગન)નું મંદિર પણ અહીં જોવા મળે છે. સામાન્ય રીતે ભગવાન કાર્તિકેયનાં ઘણાં મંદિર દક્ષિણ ભારતમાં જોવા મળે છે, પરંતુ ઉત્તરાખંડમાં ભગવાન કાર્તિકેય (કાર્તિક સ્વામી)નું પણ મંદિર છે અને તેમના દર્શનાર્થે માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ તેમની અપાર શ્રદ્ધા સાથે આવે છે.
કાર્તિક સ્વામી મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે, જે રુદ્રપ્રયાગ-પોખરી રોડ પર કનકચોરી ગામની પાસે અંદાજિત ૩050 મીટરની ઊંચાઇ પર ક્રૌંચ નામના પહાડ પર આવેલું છે. આ મંદિર ભગવાન શિવજીના મોટા પુત્ર કાર્તિકેયને સમર્પિત છે. આ મંદિરને લઇને આશ્ચર્યની વાત એ છે કે, ઉત્તર ભારતનું આ એકમાત્ર કાર્તિકેય મંદિર છે, જેમાં ભગવાન કાર્તિકેય બાળ સ્વરૂપમાં બિરાજમાન છે. અહીં કાર્તિકેયના બાળ સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિર બસ્સો વર્ષ કરતાં પણ જૂનું હોવાનું માનવામાં આવે છે.
ભગવાન કાર્તિકેયની હાર થઇ હતી
હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અને પૌરાણિક શાસ્ત્રોમાં જણાવેલી એક કથા પ્રમાણે એકવાર ભગવાન શિવજી પોતાના બંને પુત્ર કાર્તિકેય અને ગણેશજીની પરીક્ષા લેવાનું વિચારે છે. તેઓ તેમને બંનેને પોતાની પાસે બોલાવે છે. ભગવાન શિવજી કાર્તિકેય અને ગણેશજીને કહે છે કે, તમારા બંનેમાંથી જે સૌથી પહેલાં સમગ્ર બ્રહ્માંડનું ચક્કર લગાવીને મારી પાસે આવશે તેની પૂજા સમસ્ત દેવી-દેવતાઓમાં સૌથી પહેલાં કરવામાં આવશે.
પિતાજીની વાત સાંભળીને કાર્તિકેય અને ગણેશજી તેમને પ્રણામ કરીને ચક્કર લગાવવા નીકળી પડે છે. કાર્તિકેય તો સમગ્ર બ્રહ્માંડનું ચક્કર લગાવવા નીકળી પડે છે, પરંતુ ગણેશજી ત્યાં જ ઊભા રહે છે અને માતા પાર્વતી અને પિતા શિવજીની ફરતે ચક્કર લગાવવાનું શરૂ કરી દે છે. આ જોઇને માતા પાર્વતી અને ભગવાન શિવજીના ચહેરા પર હળવું સ્મિત આવી જાય છે. ત્યારબાદ ગણેશજી તેમનાં માતા-પિતાને પ્રણામ કરીને કહે છે કે, તમે જ મારું સમગ્ર બ્રહ્માંડ છો, તેથી મેં તમારી જ ફરતે પ્રદક્ષિણા કરી લીધી. ગણેશજીના આ જવાબથી માતા પાર્વતી અને ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને તેમને વરદાન આપે છે કે કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલાં દેવી-દેવતાઓ સૌથી પહેલાં ગણેશજીની પૂજા-અર્ચના કરશે.
હવે જ્યારે કાર્તિકેયને પોતે હારી ગયા છે એવો ભાસ થવા લાગે છે ત્યારે તેઓ ક્રોધિત થાય છે અને પોતાના શરીરનું માંસ માતા-પિતાનાં ચરણોમાં સમર્પિત કરીને માત્ર હાડકાંઓ લઇને ક્રૌંચ પર્વત પર ચાલ્યા જાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન કાર્તિકેયનાં અસ્થિઓ આજે પણ આ મંદિરમાં જોવા મળે છે, જેની પૂજા લાખો શ્રદ્ધાળુઓ કરે છે. ભગવાન કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો હતો. દક્ષિણ ભારતમાં ભગવાન કાર્તિકેયની મુખ્ય ભગવાનના રૂપમાં પૂજા કરવામાં આવે છે.
મંદિરમાં ઉજવાતા તહેવારો
અહીં હિન્દુ ધર્મના તમામ તહેવારો ઊજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને કારતક મહિનાની પૂનમે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન યોજવામાં આવે છે. જે માટે આસપાસનાં રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અહીં જૂન મહિનામાં મોટો યજ્ઞ પણ કરવામાં આવે છે તેમજ વૈકુંઠ ચતુર્દશી પર બે દિવસનો મોટો મેળો પણ યોજવામાં આવે છે. કારતક પૂનમના દિવસે અહીં શ્રદ્ધાળુઓ અને દંપતીઓ સંતાન માટે દીપદાન પણ કરે છે.
કાર્તિક સ્વામી મંદિરની માન્યતા
આ મંદિર વિશે એવી લોકમાન્યતા છે કે, જે શ્રદ્ધાળુઓ આ મંદિરમાં ઘંટડી બાધે છે તેની ઈચ્છા પૂર્ણ થાય છે. આ મંદિરમાં દર્શન કરવા જતા દૂરથી જ તમને અલગ અલગ આકારની ઘંટડીઓ જોવા મળે છે. મુખ્ય સડકથી મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે પગથિયાં ચડવાં પડે છે. આ મંદિરની સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.
કેવી રીતે પહોંચશો?
કાર્તિક સ્વામી મંદિર પહોંચવા માટે ટ્રેન, બસ અને ફ્લાઇટ ત્રણેય સેવાઓ ઉપલબ્ધ છે. જોકે, આ ત્રણેય સેવામાં બસ અને ટ્રેનની સેવા ઉત્તમ સાબિત થાય છે. આ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લાથી અંદાજિત ૩8થી 40 કિમીના અંતરે કનકચોરી ગામમાં આવેલું છે, જે માટે બસસેવાઓ ઉપસ્થિત છે. આ માટે તમારે રુદ્રપ્રયાગથી પોખરી માર્ગ સુધી જતી બસ લેવી પડે છે, જે કનકચોરી ગામમાં પહોંચાડે છે. કનકચોરી ગામથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે કાર્તિક સ્વામી મંદિર આવે છે. જો તમે ફ્લાઇટ મારફતે અહીં આવવા માંગતા હોવ તો રુદ્રપ્રયાગથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે, જે મંદિરથી અંદાજિત 155થી 160 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટથી ખાનગી કે સરકારી વાહનો દ્વારા તમે કાર્તિક સ્વામી મંદિર પહોંચી શકો છો. તેમજ રુદ્રપ્રયાગની નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે, જે રુદ્રપ્રયાગથી અંદાજિત 140 કિમીના અંતરે આવેલું છે. અહીંથી તમે ખાનગી કે સરકારી વાહનો દ્વારા મંદિર સુધી પહોંચી શકો છો.