બાયોસાયન્સ, મનોવિજ્ઞાન સહિતનાં ભવનોમાં છાત્રો-અધ્યાપકો માથે જીવનું જોખમ
અગ્ર ગુજરાત, રાજકોટ
[ પ્રતીપાલસિંહ ઝાલા ]
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જર્જરીત 29 ભવનોએ ચોમાસાના પ્રારંભે જ આફત સર્જી છે. સામાન્ય વરસાદમાં છતમાંથી પાણી પડવાની સાથે જર્જરીત બાંધકામની પોલ પણ ખુલી ગઈ છે. 56 વર્ષ જૂના બાયોસાયન્સ ભવનમાં છતમાંથી લોખંડના સળિયા દેખાવાની સાથે ભારે ભેજ તેમજ જીવતા વીજ વાયરે જોખમ સર્જાતા 2 માળના બિલ્ડીંગના ઉપરના માળે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અન્ય સેન્ટરમાં શિફ્ટ કરવા પડ્યા છે. જ્યારે મનોવિજ્ઞાન ભવનમાં લેબોરેટરી, લાઇબ્રેરી અને 2 વર્ગખંડમા વરસાદી પાણી ટપકતા મુશ્કેલી સર્જાઈ છે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક્સ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, કાયદા, હોમ સાયન્સ, લાઇબ્રેરી સાયન્સ અને હિન્દી ભવનમાં ચોમાસામાં છતમાંથી પાણી ટપકવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે. જેનું મૂળ કારણ એ છે કે યુનિવર્સિટીના તમામ ભવનોની અગાસી ઉપર ડામર પાથરવામાં આવ્યો છે અને તે પણ ખૂબ જ હલકી કક્ષાનો છે. આ તમામ અગાસીઓ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાવાને કારણે તમામ ભવનોમાં પાણી નીચે ઉતરે છે અને તેથી અધ્યાપકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડે છે.જોકે આ મામલે બાંધકામ વિભાગ કાર્યવાહી કરી રહ્યુ હોવાનું કુલપતિએ કહ્યુ છે અને અન્ય કંઈપણ બોલવાનું ટાળ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ કે જે યુજીસી માન્ય સેન્ટર ઑફ એડવાન્સ સ્ટડી પણ છે. વર્ષ 1969 માં સ્થપાયેલા આ ભવનનું 2 માળનું બિલ્ડિંગ 56 વર્ષ જૂનું છે. આ એ ભવન છે કે જેના ભૂતપૂર્વ પ્રોફેસર સુમિત્રા વી. ચંદાની સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ભારતના ટોપ 2 % સાયન્ટિસ્ટમાં ગણના કરવામાં આવી છે. અહીં મૃત પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
કમનસીબની વાત એ છે કે વર્ષો જૂના આ ભવનમાં વરસાદને કારણે બિલ્ડીંગનો ઉપરનો માળ કે જ્યાં બાયો સાયન્સ મ્યુઝિયમ આવેલું છે અને વર્ગખંડો તેમજ અધ્યાપકોની ઓફિસો પણ આવેલી છે તે ખાલી કરી નાખવો પડ્યો છે. કારણ કે અહીં વરસાદને કારણે છતમાંથી ગંભીર રીતે પોપડા તો ખરી જ ગયા છે પરંતુ બાંધકામ પણ નબળું પડી ગયું છે. લાઇટિંગ સહિતના જીવતા વાયરો પણ બહાર દેખાઈ રહ્યા છે જે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના જીવ પર ગંભીર જોખમ સર્જી શકે તેમ છે જેના લીધે આ ભવનના ઉપરના માળમાં વર્ગખંડોમાં બેસી ભણતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને APJ અબ્દુલ કલામ સેન્ટરમાં શિફ્ટ કરવા પડ્યા છે.
આ ભવનના અધ્યક્ષ ડૉ. રમેશ કોઠારીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે બાયોસાયન્સ ભવનમાં એમ. એસસી. માં 200 અને પીએચ.ડી. માં 25 કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીં અગાઉ છ ક્લાસરૂમ હતા, પરંતુ ઉપરનો માળ બંધ કરી દેવામાં આવતા તેમાંના ત્રણ ક્લાસરૂમ એપીજે અબ્દુલ કલામ સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેથી પ્રથમ અને બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને અહીં આ ભવનમાં અભ્યાસ કરાવવામાં આવે છે અને ત્રીજા અને ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અબ્દુલ કલામ સેન્ટરમાં અભ્યાસ માટે જવાનું થાય છે. અહીં 5 ટીચિંગ લેબોરેટરી અને 10 રિસર્ચ લેબોરેટરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા 46 વર્ષ જૂના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં પણ વરસાદને કારણે છતમાંથી ભેજ પડવા સહિતની સમસ્યા સામે આવી છે. વર્ષ 1979 માં નિર્માણ પામેલી બિલ્ડીંગના બહારના ભાગે પણ દિવાલમાં અનેક જગ્યાએ તડ પડેલી જોવા મળી છે. અહીંના વર્ગખંડ અને સેમીનાર હોલમાં પણ છતમાંથી પાણી પડતા હોવાનું સામે આવ્યું છે. જોકે આ સમયે અહીં અધ્યક્ષ યુ.સી. ભોયા સહિતના એક પણ અધ્યાપક હાજર ન હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 1969 માં નિર્મિત ઇતિહાસ ભવન, 1976 માં લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, 1979 માં મેથેમેટિક્સ ભવન, 1987 માં સ્થપાયેલું ઇલેક્ટ્રોનિક ભવન, હોમ સાયન્સ ભવન, 1995 માં સ્થપાયેલું હિન્દી ભવન, વર્ષ 1979 માં કાયદા ભવન સહિતના ભવનો કે જે 30 થી 40 વર્ષ જેટલા જૂના છે ત્યાં વરસાદી પાણીથી મુશ્કેલી સામે આવી છે.આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઉત્પલ જોશીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમુક ભવનોમાં ચોમાસામાં વરસાદને કારણે છતમાંથી પાણી ટપકવા ઉપરાંત ભેજની સમસ્યા ધ્યાને આવી છે. જેથી બાંધકામ વિભાગ આ બાબતે કાર્યવાહી કરી રહ્યું છે.
લાઇબ્રેરીમાં વરસાદી પાણીને કારણે પુસ્તકોને ભેજથી નુકસાનની પહોંચવાની ભીતિ:ડૉ. યોગેશ જોગસણ
મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસનના જણાવ્યા અનુસાર અહીં એમ.એ. માં 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન કે જેની સ્થાપના 20-11-1989 ના થઈ છે. 35 વર્ષ જૂના આ ભવનમાં લેબોરેટરી, લાઇબ્રેરી અને બે વર્ગખંડમાં છતમાંથી વરસાદી પાણી ટપકે છે. લેબોરેટરીમાં તો છતમાંથી પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સળીયા દેખાઈ રહ્યા છે. ચાલુ વરસાદે તો અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી કોઈ પરિસ્થિતિ જ નથી. જેને કારણે લેબોરેટરીના સાધનો અને બેન્ચ સાચવીને રાખવા પડે છે. આ ઉપરાંત લાઇબ્રેરીમાં વરસાદી પાણીને કારણે પુસ્તકોને ભેજ લાગતા નુકસાન પહોંચવાની ભીતિ છે.
આ વર્ષે 40ની સીટ સામે 191 વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવેલું છે.