ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ISS મિશન Axiom-4 પાંચમી વખત મુલતવી રાખવામાં આવ્યું છે. નાસાએ 22 જૂનની નવી લોન્ચ તારીખ પણ રદ કરી છે. એક્સીઓમ મિશન 4 વારંવાર કેમ મુલતવી રાખવામાં આવી રહ્યું છે? તે અંગે સૌ કોઇ જાણવા ઇચ્છે છે. શુભાંશુ શુક્લા અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. તેમના માટે સમગ્ર દેશ રાહ જોઇ રહ્યો છે. ત્યારે નાસા અને એક્સીઓમ સ્પેસ નવી તારીખ જલદી જ નક્કી કરશે.
ઐતિહાસિક યાત્રામાં વિલંબ કેમ ?
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની ઐતિહાસિક યાત્રા હવે કલાકોની રાહમાં ફેરવાઈ ગઈ છે. યુએસ ખાનગી અવકાશ કંપની એક્સીઓમ સ્પેસ અને નાસાના સંયુક્ત મિશન, એક્સીઓમ મિશન 4નું લોન્ચિંગ ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. આ મિશનમાં આ પાંચમો વિલંબ આવ્યો છે. ભારત સહિત વિશ્વભરના અવકાશ સમુદાયની નજર ફરી એકવાર નાસાની આગામી જાહેરાત પર છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘એક્સીઓમ-4 મિશન અંગે એક નવું અપડેટ મળ્યું છે. 22 જૂને સંભવિત લોન્ચ રદ કરવામાં આવ્યું છે. હવે નાસા અને એક્સીઓમ સ્પેસ આગામી દિવસોમાં નવી તારીખ નક્કી કરશે.
ભારત માટે એક્સીઓમ મિશન 4 કેમ મહત્વનું?
એક્સિઓમ મિશન 4 ભારત માટે માત્ર એક અવકાશ મિશન નથી. પરંતુ ભારતીય માનવ અવકાશ ઉડાન કાર્યક્રમના નવા યુગની શરૂઆત છે. આ મિશન દ્વારા, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જનારા બીજા ભારતીય બનશે. અગાઉ, રાકેશ શર્માએ 1984માં રશિયા સાથે સંયુક્ત મિશનમાં અવકાશમાં મુસાફરી કરી હતી. જોકે, તે સમયે ISS અસ્તિત્વમાં નહોતું. આ મિશન હેઠળ, શુભાંશુ શુક્લા ત્યાં ફૂડ ટેકનોલોજી, પોષણ અને માઇક્રોગ્રેવિટીની અસરો પર સંશોધન કરશે. આ સંશોધન ભવિષ્યના લાંબા ગાળાના મિશન માટે જ નહીં પરંતુ ભારતના આગામી ગગનયાન મિશન માટે પણ અત્યંત ઉપયોગી થશે.
આ મિશનના અન્ય સભ્યો કોણ છે?
એક્સીઓમ-4 મિશનનું નેતૃત્વ પેગી વ્હિટસન કરશે. જે નાસાના ભૂતપૂર્વ અનુભવી અવકાશયાત્રી છે અને હવે એક્સીઓમ સ્પેસમાં માનવ અવકાશ ઉડાનના ડિરેક્ટર છે. શુભાંશુ શુક્લા આ મિશનમાં પાયલટની ભૂમિકામાં છે. જ્યારે બે મિશન નિષ્ણાતોમાં યુરોપિયન સ્પેસ એજન્સીના પોલેન્ડના સ્લાવોજ ઉઝનાન્સ્કી અને હંગેરીના ટિબોર કાપુનો સમાવેશ થાય છે.
લોન્ચિંગ વારંવાર કેમ મુલતવી ?
એક્સ-4 મિશન પહેલા 19 જૂને લોન્ચ થવાનું હતું. પરંતુ પછી તેને 22 જૂને મુલતવી રાખવામાં આવ્યું. હવે 22 જૂનનું લોન્ચિંગ પણ રદ કરવામાં આવ્યું છે. આ પાછળનું સંભવિત કારણ ટેકનિકલ તપાસ, હવામાનની અનિશ્ચિતતા અથવા ISSની વર્તમાન પ્રવૃત્તિઓ સાથે સંકલન હોઈ શકે છે. નાસા હાલમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.