અત્યાર સુધી આવેલા કેસે બેવડી સદી ફટકારી: સારવાર દરમિયાન મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થતા હાલ 41 દર્દી સારવાર હેઠળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રિપોર્ટર: અતુલ સુરાણી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઇ છે. રાજકોટ શહેરમાં રોજ 9-10 કેસો સામે આવી રહ્યા હતા. ત્યારે હવે છેલ્લા બે ત્રણ દિવસથી તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટ શહેરમાં કોરોનાના પાંચ નવા કેસો આવ્યા છે. તેની સામે નવ દર્દીઓ સારવાર બાદ કોરોના મુક્ત જાહેર થયા છે. આમ, પોઝીટીવ દર્દીઓની સામે સ્વસ્થ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓના આંકે બેવડી સદી ફટકારી છે. છતાં, સ્વસ્થ દર્દીઓનો રેસીયો ઉંચો હોવાથી હાલ, 41 દર્દીઓ જ સારવાર હેઠળ છે
રાજકોટ શહેરમાં આજે વધુ 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 9 દર્દીઓ કોરોનામુક્ત જાહેર થતા કુલ 165 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં શહેરમાં માત્ર 41 સક્રિય કેસ છે, જેમાંથી માત્ર 1 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના 40 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. અત્યાર સુધીમાં 206 કુલ કેસ નોંધાયા છે. નવી લહેરને એક મહિનો પૂર્ણ થયો છે, ત્યારે આ લહેરમાં સૌથી વધુ 20થી 39 વર્ષના યુવાનો સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
જિલ્લામાં પણ 5 દર્દીઓ કોરોનામુક્ત રાજકોટ જિલ્લામાં પણ આજે 5 દર્દીઓ કોરોનામુક્ત થયા છે અને કુલ 44 કેસ પૈકી 36 દર્દીઓ રિકવર થયા છે. હાલ જિલ્લામાં 8 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનો આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સક્રિય કેસોની સંખ્યા ઓછી, મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજકોટમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ નિયંત્રણમાં છે.સક્રિય કેસોની સંખ્યા ઓછી છે અને મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન બાદ સાજા થઈ રહ્યા છે. હોસ્પિટલાઇઝેશનનો દર પણ ખૂબ જ ઓછો છે, જે તબીબી માળખા પરનો બોજ ઘટાડે છે. આમ છતાં યુવાનોમાં વધતા સંક્રમણના આંકડાઓને જોતા આરોગ્ય વિભાગે ખાસ કરીને આ વયજૂથના લોકોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, અને વારંવાર હાથ ધોવા જેવી કોવિડ-પ્રોટોકોલની બાબતોનું કડક પાલન કરવું અત્યંત જરૂરી છે. કોરોનાની નવી લહેર ઓછી ગંભીર પ્રકૃતિ આરોગ્ય અધિકારીનું કહેવું છે કે આ નવી લહેર ઓછી ગંભીર પ્રકૃતિની જણાઈ રહી છે, પરંતુ સંક્રમણ રોકવા માટે સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય છે.