ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને ઇઝરાયલી વડા પ્રધાન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે ઇઝરાયલી વડા પ્રધાનની સરખામણી કરી છે.
હિટલર સાથે કરી સરખામણી
હાલ સમગ્ર વિશ્વ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ઘમાસાન યુદ્ધ અંગે ચર્ચા કરી રહ્યું છે. છેલ્લા બે દિવસથી વિશ્વના દિગ્ગજ નેતાઓ આ યુદ્ધ પર પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. થોડા સમય પહેલા ચીન અને રશિયાના વડાઓએ પણ આ બાબતે ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારે હવે આ બબતમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર મોટો શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે નેતન્યાહુની સરખામણી હિટલર સાથે કરી છે. એર્દોગને કહ્યું કે નેતન્યાહુ અને હિટલર બંનેએ વિનાશનો એક જ રસ્તો અપનાવ્યો.
પરમાણુ કાર્યક્રમને સમૃદ્ધ બનાવવાનો આરોપ
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર યુદ્ધને વધારે વેગ આપીને દુનિયાને ખતરામાં મૂકવાના પણ આરોપ લગાવ્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના મત મુજબ ઇઝરાયલી કોઈપણ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કર્યા વિના તેના પરમાણુ કાર્યક્રમને સતત સમૃદ્ધ બનાવી રહ્યું છે. આમ કરીને ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય નિયમોનું ભંગ કરી રહ્યું છે. એર્દોગને નેતન્યાહુને હિટલર સાથે સરખામણી કરતી વખતે દંભી પણ કહ્યા છે.
શાંતિમાં સ્થાપવા માટે નેતન્યાહુ અવરોધ
એર્દોગને કહ્યું કે ઈરાન આ ભીષણ યુદ્ધમાં તેના લોકોનો બચાવ અને રક્ષણ કરી રહ્યું છે. ઈરાનને જાહેર જનતાની સુરક્ષાનો પૂરો અધિકાર છે. તુર્કીના રાષ્ટ્રપતિએ ઇઝરાયલની યુદ્ધ નીતિ અંગે ટીકા કરતાં કહ્યું કે આવનારા ભવિષ્યમાં શાંતિ સ્થાપવા માટે નેતન્યાહુ એક મોટો અવરોધ સાબિત થઈ શકે છે. આ યુદ્ધમાં નિર્દોષ લોકો મરી રહ્યા છે. ઈરાન પર સતત ઇઝરાયલ હુમલો કરી રહ્યું છે જે એક વિનાશક પગલું છે. કોઈ પણ ભોગે આ યુદ્ધનો અંત આવવો જોઈએ.