ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી તેના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષની રાહ જોઈ રહી છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે 15 ઑગસ્ટ સુધીમાં ભાજપને નવો અધ્યક્ષ મળી જશે, પરંતુ જગદીપ ધનખડ દ્વારા અચાનક ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવાના કારણે વિલંબ થયો છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા આવી જશે નવા અધ્યક્ષ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે અંતે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાથી પહેલાં પાર્ટી પોતાનો નવો અધ્યક્ષ જાહેર કરી શકે છે. નવો અધ્યક્ષ જ હવે ભાજપને બિહાર ચૂંટણીમાં નેતૃત્વ આપશે.
ભાજપમાં અધ્યક્ષ પદ માટે ચાલી રહી છે આંતરિક ચર્ચા
ભાજપના મુખ્ય નેતૃત્વ અને RSS સાથે જોડાયેલા વરિષ્ઠ આગેવાનો વચ્ચે અધ્યક્ષના નામને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. સૂત્રો મુજબ, પાર્ટીના 100થી વધુ ટોચના નેતાઓથી સંપર્ક કરીને સલાહ લેવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ, પૂર્વ અધ્યક્ષો અને સંગઠનના મહત્વના સભ્યોનો સમાવેશ થાય છે. તમામને પૂછવામાં આવ્યું છે કે તેમના દ્રષ્ટિકોણ મુજબ ભાજપનો આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હોવો જોઈએ.
જગદીપ ધનખડના રાજીનામા પછી એજન્ડો બદલાયો
ભાજપે એ ધાર્યું નહોતું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અચાનક રાજીનામું આપી દેશે, જેને કારણે નવા ઉમેદવારના પસંદગીમાં પાર્ટી વ્યસ્ત થઈ ગઈ. હાલમાં NDA દ્વારા સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ, ઇન્ડિયા અલાયન્સ તરફથી સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. પરંતુ આંકડાઓ મુજબ સીપી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત માની શકાય છે.
રાજ્યોમાં પણ અધ્યક્ષની નિમણૂકો બાકી
ભાજપના બંધારણ અનુસાર, તમામ રાજ્યોમાંથી ઓછામાં ઓછા 19 રાજ્યોમાં અધ્યક્ષની પસંદગી જરૂરી છે. ગયા મહિને સુધીમાં 28 રાજ્યોને નવા અધ્યક્ષ મળી ગયા છે, પણ હજુ પણ ઉત્તર પ્રદેશ, ગુજરાત, દિલ્હી જેવા મોટાં રાજ્યોમાં અધ્યક્ષોની નિયુક્તિ બાકી છે. હાલમાં જયપ્રકાશ નડ્ડા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ 2020ની શરૂઆતથી પદ પર છે અને તેમનો કાર્યકાળ 2024ના લોકસભા ચુંટણીઓ દરમિયાન વધારવામાં આવ્યો હતો.


