ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ પક્ષો માટે વધુ એક કસોટી
ટિકિટના ટકરાવ બાદ હવે ખુરશીની ખેંચતાણ
ચૂંટણી પહેલા ટિકિટ બાબતે પક્ષોમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો : ટિકિટ ફાળવણી બાદ નારાજ કાર્યકરોએ પક્ષ સામે જ મોરચા માંડયા’તા
ચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ કરનાર પક્ષો માટે હવે મહત્વના હોદાઓના વિસ્તરણનો સૌથી મોટો પ્રશ્ન સર્જાશે
છેલ્લી ઘડીએ ટિકિટ લઇ આવનાર ઉમેદવારો જીતી જતાં મનપામાં મેયર, સ્ટે.ચેરમેન, તાલુકા-જિલ્લા અને નગરપાલિકામાં પ્રમુખની ખુરશી માટે અત્યારથી લોબિંગ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. કોંગ્રેસનું પરફોર્મન્સ નબળું રહ્યું છે. જયારે આમ આદમી પાર્ટીનો પોતાનો વોટશેર વધ્યો છે. ચૂંટણીના પરિણામો જાહેર થતા હવે રાજકીય પક્ષો માટે હોદેદારોની પસંદગી પેચીદો મુદ્દો બન્યો છે. રાજકીય પક્ષોમાં નારાજગી પ્રર્વતી રહી છે. જે ચૂંટણી સમયે ખુલ્લીને બહાર આવી હતી.
ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી અને ત્યારબાદ ટિકિટની ફાળવણી થઇ હતી. પરંતુ ટિકિટ ફાળવણીથી નારાજ અને પોતાના નામની બાદબાકી થતા ઘણા કાર્યકરોએ પક્ષ સામે મોરચા માંડયા હતા અને પક્ષની વિરૂધ્ધમાં જ બેફામ બોલાવ્યા હતાં. ચૂંટણી સમયે રાજકીય પક્ષ આ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહ્યા હતા. પરંતુ હવે મુખ્ય કસોટી સામે આવી છે. જેમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહત્વના હોદાઓ પર કોને બેસાડવા.
આ ચૂંટણીમાં ભાજપે ૧૫ પાલિકામાં પોતાનો કબ્જો જમાવ્યો છે. જયારે 3૪ જિલ્લા પંચાયતમાંથી 33માં સત્તા પર આવશે. .જયારે આમ આદમી પાર્ટી એક પર સત્તા પર આવી છે. તાલુકા પંચાયતમાં ૧૦ પર આમ આદમી પાર્ટી, ૧૯માં કોંગ્રેસ છે. કોગ્રેસે છ નગરપાલિકા પણ જીત મેળવી છે. ત્યારે આ તમામ સંસ્થાઓ પર હવે સત્તાધીશોની નિમણુંક કરવામાં આવશે.
રાજકોટ મનપામાં મેયર પદ માટે સામાન્ય પુરૂષ ઉમેદવારની વરણી કરાશે. આ પદ માટે છેલ્લી ઘડીએ ટિકિટ લઇ આવનાર ડો.નેહલ શુકલ મજબૂત દાવેદાર ગણવામાં આવે છે. પરંતુ પોતાના લડાયક મિજાજ માટે તેઓ જાણીતા છે. જયારે અન્ય જૂના જોગીઓ પણ જીતવામાં સફળ થયા છે. ત્યારે ભાજપ માટે આ પેચીદો પ્રશ્ન ઉભો થયો છે.
રાજયભરમાં ભાજપ દ્વારા નવા અને જૂના ચહેરાની પેટર્ન અપનાવવામાં આવી હતી. જેમાં ૭૦ ટકા નવા ચહેરા અને 3૦ ટકા જૂના ચહેરાઓને ટિકિટ ફાળવવામાં આવી હતી. જયારે આપે તમામ નવા ચહેરાને ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસ મોટા ભાગના જૂના ચહેરા પર જ પસંદગી ઉતારી હતી.
આમ આદમી પાર્ટીએ આ વખતે જોર બતાવ્યું છે. અને ૧૦ તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત કબ્જે કરી છે. પરંતુ તેમના માટે પણ સૌથી મોટો પડકાર સત્તાધીશોની પસંદગીનો છે. આપ પાસે મોટા ભાગના નવા અને બીન અનુભવી ચહેરા હોવાથી શાસન કેવી રીતે ચલાવવું તે પણ મુંઝવણ થશે તેવી રાજકીય નિષ્ણાંતોમાં ચર્ચા થઇ રહી છે.
કોંગ્રેસ લગભગ ડેમેજ થઇ ગઇ છે. મોટા ભાગની બેઠકો ગુમાવી છે. જયાં જીતમાં છે ત્યાં પણ કાર્યકરોમાં અંદરખાને નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે હોદાઓની નિયુકિતમાં કોઇ ભડકો ન થાય તે જોવું રહ્યું તેવુ ચર્ચાઇ રહ્યું છે.
જનતાએ જે જવાબ આપ્યો છે તેમાં ઘણુ બધુ આવી ગયુ : મુખ્યમંત્રી
સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ ભાજપના કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને જીતની ઉજવણી કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રસંગે ગુજરાતની જનતાનો સૌથી પહેલા આભાર માન્યો. તેમણે કહ્યું કે ભાજપને જીત અપાવવા બદલ આભાર. દાદાએ જણાવ્યું કે જે રીતે જનતાએ ચૂંટણીમાં જવાબ આપ્યો છે તેમાં ઘણું બધું આવી ગયું છે. જનતાનો વિશ્વાસ જીતવા માટે કાર્યકર્તાઓ દ્વારા જે મહેનત કરવામાં આવી તેને લઈને કહ્યું કે અમે આજ રીતે આગળ વધતા રહીશું.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતના નાગરિકો હોશિયાર છે. તેમણે યોગ્ય સમયે જવાબ આપીને લોકોને બતાવી દીધું કે તેઓ કોણ છે. સાથે જ તેમણે કહ્યું ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો સહકુટુંબ છે. જે આ વર્ષે વધારે મજબૂત થયું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૌથી પહેલા તો ગુજરાતની જનતાને નમન કરીને તેમનો આભાર માન્યો. છેલ્લા 30 વર્ષથી વિકાસની રાજનીતિને ગુજરાતના લોકોએ જે સમર્થન આપ્યું છે. તેનો તેમણે આભાર માન્યો હતો.
AAP અઢળક સીટો જીતી, આ જનતાની જીત” : ઇસુદાન ગઢવી
ચૂંટણીના પરિણામો બાદ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે અને પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે. તેમણે જણાવ્યું કે કુલ 5,445 ઉમેદવારોએ પોતાના ખર્ચે ચૂંટણી લડી અને તેઓ “ક્રાંતિ વીર” તરીકે સામે આવ્યા છે.
ગઢવીએ કહ્યું કે ઉમેદવારોને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ઉમેદવારી અટકાવવાના પ્રયાસો, ધમકી, દબાણ, ખોટી માહિતી ફેલાવવી, તેમજ કાર્યકર્તાઓ સામે FIR અને ધરપકડ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી મેદાનમાં ટક્યા રહ્યા. તેમણે તમામ ઉમેદવારો, કાર્યકર્તાઓ અને તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે આ જીતનો શ્રેય કાર્યકર્તાઓની મહેનત અને જનતાના વિશ્વાસને જાય છે. તેમણે ફરી દોહરાવ્યું કે આ જીત પાર્ટીની નહીં પરંતુ ગુજરાતની જનતાની છે. તેમણે ઉમેર્યું કે આગામી પાંચ વર્ષ પાર્ટી લોકોના હક અને અધિકારો માટે સંઘર્ષ ચાલુ રાખશે.
કોંગ્રેસ જવાબદાર વિપક્ષ અને પ્રજાના પ્રશ્નોએ લડતી રહેશે : અમિત ચાવડા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે, ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, છેલ્લા ઘણા સમયથી ભાજપના કુશાસન-ભ્રષ્ટાચાર સામેનો લોકોનો આક્રોશ અને નારાજગી મતમાં પરિવર્તિત થયો નથી. અલબત્ત, જે તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટીને લોકોએ આશીર્વાદ આપ્યા છે ત્યારે કોંગ્રેસ જવાબદાર વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવીને જનતાનો અવાજ બની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ, લોકોના હક્ક અને અધિકાર માટે લડત આપશે. જ્યાં કોંગ્રેસને સત્તા મળી છે તેવી પંચાયતોમાં પ્રમાણિકતા અને પૂરી નિષ્ઠાથી વહીવટ કરવાના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા તેમણે ઉમેર્યું છે કે, ચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ હતાશ થયા વિના લોકશાહીની રક્ષા અને બંધારણ બચાવવાની કોંગ્રેસની વિચારધારાને મજબૂતાઈથી આગળ વધારી લોકોની વચ્ચે જઈ વિશ્વાસ કેળવીશું.


