અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ‘મ્યુચ્યુઅલ ફંડ – એક સફર હે સુહાના’ વિષયક સેમિનાર યોજાયો
બજારમાં કરેલું રોકાણ સંપત્તિ બનાવે છે, પરંતુ વિશ્વાસમાં કરેલું રોકાણ જીવનભરના સંબંધો બનાવે છે : મેહુલ રવાણી
અગ્ર ગુજરાત, રાજકોટ
નાણાંકીય સુરક્ષા અને સમૃદ્ધ જીવન માટે યોગ્ય સમયે યોગ્ય રોકાણ કરવું એ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. સતત બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધ જેવા પડકારો વચ્ચે રોકાણકારો માટે યોગ્ય માર્ગદર્શન અને વિશ્વસનીય માહિતીનું મહત્વ અનેકગણું વધી ગયું છે. આ જ ઉદ્દેશ્યને સાકાર કરવાના હેતુથી રાજકોટની નામાંકિત કંપની અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલભાઈ રવાણી અને HDFC મ્યુચ્યુઅલ ફંડના સંયુક્ત ઉપક્રમે સેમિનાર “મ્યુચ્યુઅલ ફંડ-એક સફર હે સુહાના !!!, આજની શિસ્ત – આવતીકાલની સમૃદ્ધિ” યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ HDFC MUTUAL FUND તથા ઉપસ્થિત તમામ રોકાણકારોનો અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શહેરની ઠાકર હોટેલ ખાતે યોજાયેલ આ સેમિનારમાં રાજકોટના 300થી વધુ રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા અને વર્તમાન સમયમાં બજારની સ્થિતિ, નાણાકીય શિસ્ત અને દીર્ઘકાલીન રોકાણના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી.મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન હોય છે. રોકાણ કરતા પહેલા બધા જ જરૂરી દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચવા.
કાર્યક્રમના પ્રારંભે જૈન અગ્રણી, લેખક, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એન્કર, વક્તા, સિંગર, જૈન ભોજનાલયના ટ્રસ્ટ્રી, અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેહુલભાઈ મહેન્દ્રભાઈ રવાણીએ જણાવ્યું હતું કે, જીવનમાં ઘણી સફળતાઓ એવી હોય છે જેનો આનંદ આપણે એકલા લઈ શકતા નથી, કારણ કે તે સફળતા પાછળ અનેક લોકોનો સાથ, વિશ્વાસ અને સહયોગ હોય છે. બેંક ખાતામાં દેખાતી સંપત્તિ વ્યાજથી વધે છે, પરંતુ લોકોના દિલમાં જમા થતી સંપત્તિ વિશ્વાસથી વધે છે અને છેલ્લા ૨૫ વર્ષથી મળતો આ અતૂટ વિશ્વાસ જ અરિહંત ઇન્વેસ્ટમેન્ટની સૌથી મોટી મૂડી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અરિહંત ઇન્વેસ્ટમેન્ટની સૌથી મોટી મૂડી છેલ્લા 25 વર્ષ દરમિયાન હજારો રોકાણકારોએ વ્યક્ત કરેલો અતૂટ વિશ્વાસ અને પ્રેમ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રોકાણકારો એ મારા ક્લાયન્ટ નથી પરંતુ અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પરિવારના સભ્યો છે. કોઈપણ સંસ્થાની સાચી ઓળખ તેના ગ્રાહકોના વિશ્વાસથી બને છે. બજારમાં કરેલું રોકાણ સંપત્તિનું નિર્માણ કરે છે, જ્યારે વિશ્વાસમાં કરાયેલું રોકાણ લાંબા ગાળાના સંબંધોનું નિર્માણ કરે છે. આ વિશ્વાસ અને સહયોગ જ અરિહંત ઇન્વેસ્ટમેન્ટને છેલ્લા પચ્ચીસ વર્ષથી સતત પ્રગતિના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપતો રહ્યો છે અને ભવિષ્યમાં પણ રોકાણકારોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કાર્ય કરવાની તેમની પ્રતિબદ્ધતા યથાવત્ રહેશે.
અમદાવાદથી આવેલા આર્થિક નિષ્ણાત અને મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે છેલ્લા 2 દાયકા જેટલો બહોળો અનુભવ ધરાવતા મુખ્ય વક્તા પાર્થભાઈ પાઠકે ‘મ્યુચ્યુઅલ ફંડ-એક સફર હે સુહાના !!!, આજની શિસ્ત – આવતીકાલની સમૃદ્ધિ’ વિષય પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રોકાણ કરતી વખતે માત્ર ‘ફિક્સ’ અને ‘રિસ્ક’ એમ બે જ વિકલ્પો સુધી વિચારને મર્યાદિત રાખવો યોગ્ય નથી. દરેક વ્યક્તિએ પોતાની આવક, બચત, ભવિષ્યની જવાબદારીઓ અને નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને યોગ્ય રોકાણનો માર્ગ પસંદ કરવો જોઈએ. આજે ઉપલબ્ધ મૂડીને માત્ર સુરક્ષિત રાખવી પૂરતી નથી, પરંતુ આવનારા સમયમાં શિક્ષણ, આરોગ્ય, નિવૃત્તિ અને અન્ય જરૂરીયાતોને પહોંચી વળવા માટે તે કેવી રીતે ઉપયોગી બની શકે તે દૃષ્ટિકોણથી આયોજન કરવું વધુ જરૂરી છે. જોખમ રોકાણમાં હોય કે જીવનમાં, તે એટલું જ લેવું જોઈએ જેને આપણે સમજી શકીએ અને યોગ્ય રીતે સંચાલિત કરી શકીએ. સમજદારીપૂર્વકનું જોખમ વ્યવસ્થાપન અને લાંબા ગાળાનું આયોજન જ સફળ રોકાણની સાચી ચાવી છે.


